મંદિરના આધાર સ્તંભનો નથી કોઈ આધાર ! જાણો હવામાં લટકતા પત્થરના આધાર સ્તંભનું રહસ્ય !
મંદિરના બાહ્ય ભાગમાં એક વિશાળ નૃત્ય હોલ છે. જેમાં પત્થરોના 70 આધાર સ્તંભ છતને ટેકો આપે છે. આ 70 સ્તંભમાંથી એક ખૂણાનો સ્તંભ 'લટકતો સ્તંભ' છે, જે મંદિરના તળને જરાય સ્પર્શતો નથી
અદભુત ડિઝાઈનથી પ્રખ્યાત લેપાક્ષી સાડીઓ વિશે લગભગ બધાએ સાંભળ્યું હશે. એ અદભુત ડિઝાઈન્સ બેંગલુરુથી લગભગ 120 કિલોમીટર દૂર આવેલા વીરભદ્ર મંદિરના (Virbhadra Temple) નામે ઓળખાતા મંદિરના સ્તંભોના ઉત્કૃષ્ટ કલાકૃતિ પરથી લેવામાં આવી છે. દરેક ડિઝાઇન અનન્ય અને તદ્દન જટિલ હોવાથી તેના શિલ્પીએ પોતાની કામગીરીનો ગર્વ લીધો હશે !
વીરભદ્ર મંદિર (Virbhadra Temple) આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના લેપક્ષી ગામમાં સ્થિત છે. મોટાભાગનુ મંદિર કાચબા આકારની ખડકાળ ટેકરી પર નિર્માણ પામ્યુ હોવાથી, આ ટેકરીને ‘કુર્માસૈલામ’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ ‘કાચબો હિલ’ થાય છે. સ્થાનીક લોકોની માન્યતા છે કે 1530 થી 1545 ની વચ્ચે વિરુપન્ના અને વીરન્ના નામના બે ભાઈઓ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. જેઓ રાજા અચ્યુતા દેવ રાયના શાસન દરમિયાન વિજયનગર સામ્રાજ્ય હેઠળ ગવર્નર હતા.
રાજા અચ્યુતા દેવ રાયને મોટા ભાઈ શાસક કૃષ્ણ દેવ રાય દ્વારા ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એક બીજી વિચારસરણી પ્રમાણે આ મંદિર રુષિ અગસ્ત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
નંદી, શિવ, વિષ્ણુ, ગણેશ, ભદ્રકાલી વગેરેની મૂર્તિઓની ભરપુર કલાકૃતી ધરાવનાર વિજય નગર સ્થાપત્ય શૈલી મંદિરમાં અદ્દભૂત શિલ્પ, દિવાલ અને છત પરની પેઇન્ટિંગ્સથી એકદમ નજર સમક્ષ સ્પષ્ટ તરી આવે છે. દેવી-દેવતાઓ, સંગીતકાર અને નર્તકોના શિલ્પમાં પ્રખ્યાત હમ્પી સંસ્કૃતિની ઝાંખી દ્વારા વિવિધ કલા કૃતિઓ મહાકાવ્યો અને પુરાણોની કથાઓ પ્રદર્શિત થાય છે. છત પર શિવના ચૌદ અવતારોમાના એક એક વીરભદ્ર છે. તેનું જીવતં લાગતું વિશાળ 24 X 14 ફુટનુ ભીત ચિત્ર બનાવવામાં આવ્યુ છે.
લેપક્ષી એક સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય રીતે મહત્વપૂર્ણ ગામ છે. ઉપરોક્ત શિલ્પ કલા ઉપરાંત અહીં મંદિરમાં કંઈક ખાસ છે, જે બધા કરતા પણ શ્રેષ્ઠ અને વધારે રોચક છે. વીરભદ્ર મંદિરમાં ખુલ્લો કલ્યાણ મંડપમ (લગ્ન હોલ) છે, જ્યાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન અન્ય દેવી-દેવતાઓની ઉપસ્થિતિમાં થયા હોવાનું માનવામાં આવે છે.
વીરભદ્ર મંદિરના પ્રવાસ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે કલ્યાણ મંડપનું કાર્ય અધૂરું રહી ગયું છે. એક લોક કથા અનુસાર કલ્યાણ મંડપ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન માટે તૈયાર કરવામાં આવી રહયુ હતું. પરંતુ લગ્ન સમયે તે તૈયાર ન થયું હોવાથી તેનો ઉપયોગ થયો ન હોવાનુ માનવામા આવી રહયુ છે.
હવે પ્રશ્ન એ થશે કે તે તૈયાર કેમ ન હતું ? જો તમે મંદિરની પશ્ચિમી દિવાલો પર નજીકથી જોશો તો દિવાલો પર બે લાલ ફોલ્લીઓ જોવા મળશે. દંતકથા અનુસાર બિલ્ડર, વિરુપન્ના વિજયનગર સામ્રાજ્યના ખજાનચી, મંદિરના નિર્માણ માટે તિજોરીમાંથી નાણાંનો ઉપયોગ કરતા હતા.
રાજાની ગેરહાજરીમા અને જાણ બહાર આ નિર્માણ શરુ કરવામાં આવ્યું હતુ. જ્યારે રાજા પ્રવાસેથી પાછા ફર્યા અને જોયું કે વિરૂપન્ના દ્વારા તિજોરી ખાલી કરી દેવામાં આવી છે, તો તે ગુસ્સે થયા અને ગુસ્સામાં, તેમણે આદેશ આપ્યો કે તરત જ બાંધકામ બંધ કરવામાં આવે અને ખજાનચીને આંધળા કરી દેવામાં આવ્યા. તેથી, લગ્ન મંડપ અધૂરો રહ્યો.
વિરુપન્ના આ વાતને સમજી શક્યા નહીં કે આ સારા કાર્યો માટે તેને શા માટે આકરી સજા કરવામાં આવી રહી છે. આદેશથી ક્રોધિત અને નારાજ, વિરુપન્નાએ તેની સજા પોતે ગ્રહણ કરી અને તેથી કલ્યાણ મંડપમની દિવાલો પર લાલ છિદ્રો તેની આંખોમાંથી નિકળેલું રક્ત હોવાનું મનાય છે.
હવે વાત કરીએ મંદિરના રહસ્ય અને અન્ય કલાકૃતિથી વિશિષ્ટ, એન્જિનિયરિંગ અજાયબી તથા એક કલાત્મક માસ્ટરપીસ વિશે જે લોકોની કુતુહલતાનુ કારણ છે. મંદિરના બાહ્ય ભાગમાં એક વિશાળ નૃત્ય હોલ છે જેમાં 70 પત્થરોના આધાર સ્તંભ છતને ટેકો આપે છે. આ 70 સ્તંભમાંથી એક ખૂણાનો સ્તંભ ‘લટકતો સ્તંભ’ છે, જે મંદિરના તળને જરાય સ્પર્શતો નથી ! જેથી મંદિરના ફ્લોર અને આધાર સ્તંભ વચ્ચે થોડું અંતર જોવા મળે છે. જેમાથી કાગળની શીટ અથવા કાપડના ટુકડા જેવી વસ્તુ સાળતાથી એક બાજુથી બીજી બાજુ પસાર થઈ શકે છે.
મંદીરના આ સ્તંભ પાસે ધણા પ્રવાસીઓ કાપડ અથવા કાગળનો ટુકડો નીચે મૂકીને તેને બીજી તરફ સ્લાઇડ કરતા નજરે ચડે છે અને તપાસે છે કે શું ખરેેખર આધાર સ્તંભ ફ્લોરથી ડિસ્કનેક્ટ થઈ ગયો છે ? બાદમાં દરેક પ્રવાસીને એ પ્રશ્ન પણ ઉદભવે છે કે પ્રાચીન કારીગરોએ ગુરુત્વાકર્ષણને નકારી છત પરથી લટકાવેલા આવા વિશાળ સ્તંભનું નિર્માણ કેવી રીતે કર્યું ? મહત્વની વાત એ છે કે મંદિર તેમજ મંદિરના સ્તંભ ભૂકંપનો પ્રતિકાર કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે.
આશ્ચર્યભુમી
મંદિરમાં અન્ય વિવિધ જોવા લાયક વિશિષ્ટ અને રસપ્રદ કલાકૃતિ પણ છે, જેમ કે દુર્ગા પદમ, એક રોક સાંકળ, વાસ્તુ પુરુષ, વીરોપક્ષેષ્ણની આંખો, પદ્મિની જાતિની મહિલા વગેરે. લટકેલો સ્તંભ આ આકર્ષણોમાં સૌથી વધારે પ્રખ્યાત છે.
મંદીરની આગળની તરફ લગભગ 200 મીટર દૂર એક વિશાળ ગ્રેનાઈટથી બનેલ નંદીની પ્રતિમા છે. માળાઓ અને ઘંટડીઓથી શણગારેલી આ પ્રતિમાની ઉંચાઇ 20 ફૂટ અને લંબાઈ 30 ફૂટ છે. એક જ પત્થરમાંથી કોતરવામાં આવેલી આ પ્રતિમા વિશ્વની સૌથી મોટી પત્થરમાંથી આકાર પામેલ પ્રતિમા હોવાનુ મનાય છે.
આઝાદી પૂર્વેના સમયમાં એક બ્રિટીશ એન્જિનિયરે તે સ્તંભને શેનો આધાર છે તેનું રહસ્ય જાણવા આધાર સ્તંભને ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આધાર સ્તંભને ખસેડવાના પ્રયાસ દરમિયાન, વધુ દસ સ્તંભો પણ ખસેડવામાં આવ્યા હતા.
એ સંશોધનનુ વિશ્લેષણ કરતી વખતે, એન્જિનિયરને સમજાયું કે દરેક સ્તંભ એ રીતે મૂકવામાં આવ્યા છે, જેથી સંપૂર્ણ માળખુંનું સંતુલન જાળવી શકાય. કોઈ સ્તંભને જો ખસેડવામા આવે તો, સંપુર્ણ છતને નુકશાન થઈ શકે છે, જે સંભવત આખી રચનાનુ પતન કરશે, તેથી તેમણે તરત જ ઓપરેશન બંધ કર્યું. પરંતુ ત્યા સુધીમાં લટકતો સ્તંભ તેના મૂળ સ્થાનેથી થોડો વિમુખ થઈ ગયો હતો.
બીજી એક લોકકથા પ્રમાણે બ્રિટીશ સરકારે સમારકામ કરવાનું નક્કી કર્યું અને આધાર સ્તંભને દૂર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓના વારંવાર પ્રયાસ બાદ પણ તે ખસેડી શક્યા નહીં. નિરાશ થયા વગર, તેઓ પ્રયાસ કરતા રહ્યા અને અંતે તેને માંડ માંડ ખસેડવામાં સફળ રહ્યા. ત્યારબાદ તેઓને સમજાયું કે આ આધાર સ્તંભને ખસેડવું અશક્ય હશે અને તેથી તેને આ વિચિત્ર સ્થિતિમાં છોડી દેવામાં આવ્યો. આ દરેક કથાઓએ લોક કથા છે અને એવુ કહેવાય છે કે અહીં દરેક પથ્થર અંગે કહેવા માટે એક વાર્તા છે.