પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે દિલ્હીમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમને મળ્યા બાદ મમતા બેનર્જી તેમના નિવાસસ્થાનથી રવાના થયા હતા. પીએમ અને મમતાની આ મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેને રાજકીય સેટિંગ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો શિક્ષક ભરતી કૌભાંડમાં EDની કાર્યવાહીનો ડર જણાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, TMCના ટોચના નેતાઓ સામે CBI અને EDની કાર્યવાહી વચ્ચે મમતા બેનર્જીનો દિલ્હી પ્રવાસ મેચ ફિક્સિંગનો એક ભાગ છે.
Delhi | West Bengal CM Mamata Banerjee leaves for PM’s residence pic.twitter.com/NHlZu2afCy
— ANI (@ANI) August 5, 2022
આ બેઠક પહેલા, મેઘાલયના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથાગત રોયે ટ્વિટર પર પીએમ મોદીને લોકોને સમજાવવા કહ્યું કે તેમની અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે કંઈ ‘સેટિંગ’ નથી. ટ્વીટર પર તથાગત રોયે કહ્યું, કોલકાતા ‘સેટિંગ’ની આશંકાથી ત્રાસી ગયું છે, જેનો અર્થ છે કે પીએમ મોદી અને મમતા વચ્ચે એક ગુપ્ત સમજૂતી છે જે તૃણમૂલના ચોરો અને/અથવા ભાજપના કાર્યકરોના હત્યારાઓને મુક્ત કરશે. કૃપા કરીને અમને ખાતરી આપો કે આવી કોઈ ‘સેટિંગ’ હશે નહીં. આ સાથે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને પીએમઓને પણ ટેગ કર્યા.
પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીએમસી ચીફ મમતાની આ મુલાકાત પર કોંગ્રેસ સહિત અન્ય ઘણી પાર્ટીઓએ તૃણમૂલ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમના વતી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટીએમસીના ટોચના નેતાઓ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી વચ્ચે મમતા બેનર્જીની દિલ્હી મુલાકાત મેચ ફિક્સિંગનો એક ભાગ છે.
બંગાળ કોંગ્રેસના પ્રવક્તા રિત્જુ ઘોષાલે આરોપ લગાવ્યો કે, આ મેચ ફિક્સિંગ 2016ની બંગાળ વિધાનસભા ચૂંટણીથી ચાલી રહી છે. કોલસા કૌભાંડ કેસમાં તપાસ એજન્સી EDએ અભિષેક બેનર્જીની માત્ર બે વખત પૂછપરછ કરી હતી. જ્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રોજેરોજ પરેશાન કરવામાં આવી રહ્યા છે.
બંગાળના બીજેપીના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે કહ્યું હતું કે, સીએમ મમતા બેનર્જી પીએમ મોદીને મળવા જઈ રહી છે જેથી તેઓ લોકોને સંદેશ આપી શકે કે તેમનું સેટિંગ થઈ ગયું છે. દિલીપ ઘોષે પણ કેન્દ્ર સરકારને સલાહ આપતાં કહ્યું હતું કે, મમતા બેનર્જી આ બેઠકોનો ઉપયોગ સંદેશ આપવા માટે કરી રહી છે કે સેટિંગ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે આ વાત સમજવી જોઈએ અને તેમની જાળમાં ફસાવું જોઈએ નહીં.
Published On - 5:34 pm, Fri, 5 August 22