કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા મલ્લિકાર્જુન ખડ઼ગે, 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના નેતા કરાયા પસંદ
સૂત્રોના જણાવ્યા અનુસાર ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે થરૂરને 1072 વોટ મળ્યા. 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના નેતા દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ બન્યા છે.
મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) કોંગ્રેસ (Congress) ના નવા અધ્યક્ષ બન્યા છે. તેમણે પાર્ટી અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરને હરાવ્યા હતા. જો કે પાર્ટી દ્વારા હજુ ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે થરૂરને 1072 વોટ મળ્યા. 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના નેતા દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ બન્યા છે.
શશિ થરૂરે ટ્વીટ કરીને નવા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના અધ્યક્ષ બનવું એ એક મહાન સન્માન અને મોટી જવાબદારી છે. હું મલ્લિકાર્જુન ખડગે જીને આ કાર્યમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે તેવું ઈચ્છું છું. એક હજારથી વધુ સાથીનો ટેકો મેળવવો અને સમગ્ર ભારતમાં કોંગ્રેસના ઘણા શુભચિંતકોની આશાઓ અને આકાંક્ષાઓને આગળ ધપાવવી એ એક સૌભાગ્યની વાત હતી.
It is a great honour & a huge responsibility to be President of @INCIndia &I wish @Kharge ji all success in that task. It was a privilege to have received the support of over a thousand colleagues,& to carry the hopes& aspirations of so many well-wishers of Congress across India. pic.twitter.com/NistXfQGN1
— Shashi Tharoor (@ShashiTharoor) October 19, 2022
24 વર્ષ બાદ પાર્ટીને બિન-ગાંધી પ્રમુખ મળ્યા
તમને જણાવી દઈએ કે, લગભગ 24 વર્ષ પછી ગાંધી પરિવારની બહારના કોઈ વ્યક્તિને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ વખતે મુકાબલો પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે હતો. બુધવારે સવારે 10.20 વાગ્યે પાર્ટી હેડક્વાર્ટર ખાતે મત ગણતરી શરૂ થઈ હતી, જે સવારે 10 વાગ્યાના નિર્ધારિત સમયના થોડા સમય બાદ થઈ હતી. આ પ્રસંગે સાંસદ કાર્તિ ચિદમ્બરમ, અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરના પ્રસ્તાવક અને કેટલાક અન્ય ચૂંટણી એજન્ટો હાજર રહ્યાં હતા. બીજા ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે માટે સાંસદ સૈયદ નાસિર હુસૈન અને કેટલાક અન્ય નેતાઓ હાજર રહ્યાં હતા.
કોણ છે મલ્લિકાર્જુન ખડગે ?
મલ્લિકાર્જુન ખડગેનો જન્મ 21 જુલાઈ 1942ના રોજ થયો હતો. જે જગ્યાએ તેમનો જન્મ થયો હતો તે જૂના હૈદરાબાદ-કર્ણાટક પ્રદેશમાં હાલના કર્ણાટકના બિદર જિલ્લાના વારવટ્ટી ગામમાં આવતું હતું. ત્યાં નિઝામના શાસનમાં તેઓ માત્ર 7 વર્ષના હતા ત્યારે કોમી રમખાણોમાં તેમણે તેમની માતા અને પરિવારના સભ્યોને ગુમાવવા પડ્યા હતા. આટલું જ નહીં, રમખાણોને કારણે ખડગે પરિવારમાં બધું જ ખતમ થઈ ગયું. પરિવારને પડોશી કલબુર્ગી જિલ્લામાં જવું પડ્યું જે અગાઉ ગુલબર્ગા તરીકે ઓળખાતું હતું. આટલું બધું સહન કર્યા પછી પણ કદાચ આ જ કારણ છે કે ખડગે આજે પણ સાંપ્રદાયિકતા સામે ખૂબ જ અવાજ ઉઠાવે છે.
કલબુર્ગીમાં બી.એ.ના અભ્યાસ દરમિયાન તેઓ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય બન્યા હતા. તેમણે સેઠ શંકરલાલ લાહોટી લો કોલેજ, કલાબુર્ગીમાંથી કાયદાની ડિગ્રી સાથે સંઘના રાજકારણમાં પ્રવેશ કર્યો. 1969માં તેઓ MSK મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયનના કાનૂની સલાહકાર બન્યા. ટૂંક સમયમાં જ તેઓ યુનાઇટેડ ટ્રેડ યુનિયનના પ્રભાવશાળી નેતાઓ તરીકે ગણવામાં આવ્યા. તે જ વર્ષે ખડગે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ગુલબર્ગ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા. 1994માં તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. તેમણે 2008માં બીજી વખત આ પદ સંભાળ્યું હતું. તે જ વર્ષે, તેઓ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ બનવામાં સફળ થયા.
1971માં તેઓ કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ મેળવવામાં સફળ થયા. તેઓ ગુરમિતકલ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. 1971થી જીતનો સિલસિલો 2019માં અટકી ગયો. તેઓ 2008 સુધી સતત 9 વખત કર્ણાટક વિધાનસભાના સભ્ય હતા. 2009માં તેઓ કર્ણાટકની ગુલબર્ગા લોકસભા સીટ પરથી જીત્યા હતા. 2014માં તેઓ ફરી એકવાર લોકસભામાં ચૂંટાયા. તેઓ 2009માં મનમોહન સિંહ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યું ત્યારે તેઓ લોકસભામાં વિપક્ષના નેતા બન્યા. 2019માં મોદી લહેરમાં તેમને ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા.