લોકસભામાં હંગામો મચાવનાર પર સ્પીકરની મોટી કાર્યવાહી, કોંગ્રેસના 4 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા
સ્પીકરના ઇનકાર છતાં આ લોકો ગૃહમાં સતત પ્લેકાર્ડ બતાવીને વિરોધ કરી રહ્યા હતા. કોંગ્રેસના (Congress) તમામ સાંસદો પર નિયમ 374 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
લોકસભામાં (Lok Sabha) હંગામો મચાવનાર કોંગ્રેસી (Congress) સાંસદો સામે સ્પીકરે મોટી કાર્યવાહી કરી છે. તેમણે કોંગ્રેસના 4 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મન્નીકમ ટાગોર, જ્યોતિ મણિ, ટીએન પ્રતાપન અને રામ્યા હરિદાસનો સમાવેશ થાય છે. સ્પીકરના ઇનકાર છતાં આ લોકો ગૃહમાં સતત પ્લેકાર્ડ બતાવીને વિરોધ કરી રહ્યા હતા. કોંગ્રેસના તમામ સાંસદો પર નિયમ 374 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિયમમાં ઇરાદાપૂર્વક ગૃહની કાર્યવાહી રોકવાનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં અધ્યક્ષની સત્તાની અવગણના અને નિયમોનો દુરુપયોગ પણ સામેલ છે. આ તમામ સાંસદો સામે પહેલા સસ્પેન્શનની દરખાસ્ત કરવામાં આવી હતી, ત્યારબાદ તમામને સર્વ સંમતિથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી
કોંગ્રેસના સાંસદોને સસ્પેન્ડ કરતા પહેલા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને 3 વાગ્યા પછી ચર્ચા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી, પરંતુ ગૃહની અંદર કોઈપણ પ્લેકાર્ડ વિરોધને સહન કરશે નહીં. સ્પીકરે કહ્યું, તમારે પ્લેકાર્ડ બતાવવું હોય તો ઘરની બહાર બતાવો. હું ચર્ચા માટે તૈયાર છું, પરંતુ મને નથી લાગતું કે મારી દયા મારી નબળાઈ છે. બાદમાં તેમણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી હતી.
દેશના લોકો ઇચ્છે છે કે સંસદ ચાલે – ઓમ બિરલા
કોંગ્રેસના સાંસદો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિપક્ષી સાંસદોની વર્તણૂકની નિંદા કરી અને સ્પીકરને વિનંતી કરી કે તેઓ ગૃહની અંદર પ્લેકાર્ડ લાવનારા સાંસદો સામે કાર્યવાહી કરે જેથી કાર્યવાહી સરળતાથી ચાલી શકે. તેના પર ઓમ બિરલાએ કહ્યું કે દેશની જનતા ઇચ્છે છે કે સંસદ ચાલે. પરંતુ તે આ રીતે આગળ વધી શકે નહીં. હું આવી પરિસ્થિતિમાં આગળ વધી શકતો નથી.
વિપક્ષની સંસદમાં મોંઘવારી પર ચર્ચાની માગ
જણાવી દઈએ કે, પ્લેકાર્ડ અને બેનરો સાથે વિપક્ષી સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં આવવા અને વધતી મોંઘવારી, GST, આવશ્યક ચીજવસ્તુઓ પર વધારા અંગેની તેમની ચિંતાઓને દૂર કરવા માગ કરી હતી. વિપક્ષ સંસદમાં મોંઘવારી પર ચર્ચાની માગ કરી રહ્યો છે અને 18 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી બંને ગૃહોમાં કાર્યવાહી અટકી પડી છે.