Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?
કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન શિવના દર્શન માટે પહોંચી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે પાણીની 20 રૂપિયાવાળી બોટલ કેદારનાથ ધામમાં 80 રૂપિયાની મળે છે.

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામના કપાટ ખૂલતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. ભાવિકોની સૌથી વધુ ભીડ કેદારનાથધામમાં દેખાઈ રહી છે. દર્શન માટે પહોંચેલા ભક્તોને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અને અસુવિધાથી બચાવવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવ્યુ છે. આ વચ્ચે એક ચર્ચા એવી સામે આવી રહી છે કે કેદારનાથધામમાં પાણીની બોટલ 80 રૂપિયામાં મળે છે. જ્યારે તેની વાસ્તવિક કિંમત 20 રુપિયા છે. આની પાછળ મજબુરીનો લાભ લેવાની વૃતિ છે કે બીજુ કોઈ કારણ છે આવો જાણીએ.
કેદારનાથમાં દુકાન ચલાવનારા એક દુકાનદારે નામ ન આપવાની શરતે જણાવ્યુ કે પાણીની બોટલ 80 રૂપિયામાં વેચવા પાછળ તેમની મજબુરી છે. પાણીની બોટલને કેદારનાથ સુધી લાવવામાં જે ખર્ચ થાય છે, તેને તેની MRP સાથે જોડીને વેચવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે ઋશિકેશથી ગૌરીકુંડ સુધી તો પાણીની પેટીઓ ટ્રકમાં આવે છે. પરંતુ ગૌરીકુંડ પછીનો રસ્તો વાહનો માટે નથી.
પાણીના ભાવ 20 થી 80 રૂપિયા હોવાનો હિસાબ
દુકાનદારે જણાવ્યુ કે ગૌરીકુંડ થી કેદારનાથ સુધીનું અંતર લગભગ 18 કિલોમીટર છે અને પાણીની પેટીઓ ખચ્ચર દ્વારા ધામ સુધી પહોંચે છે. એક ખચ્ચર પર પાણીન વધુમાં વધુ ચાર પેટીઓ લાદી શકાય છે. પાણીની પેટીઓની કિંમત સહિત ખચ્ચરનું ભાડુ 3500 રૂપિયા છે. જો હિસાબ લગાવવામાં આવે તો એક પેટીમાં 12 બોટલ હોય છે એટલે 4 પેટીમાં 48 બોટલ અને કેદારનાથ પહોંચતા સુધીમાં એક બોટલ દુકાનદારને 72 થી 92 રૂપિયામાં પડે છે.
‘ઓછા ભાવે વેચશો તો ખોટ જશે’
દુકાનદારે જણાવ્યુ કે દુકાનનું ભાડુ પણ તેને આપવાનું હોય છે. એવામાં પોતાની બચત કાઢવા માટે તેણે પાણીની બોટલ 80 રૂપિયામાં વેચવી એ તેમની મજબુરી છે. કારણ કે તેનાથી ઓછા ભાવે તે વેચશે તો તેને ખોટ જશે. ખચ્ચર ઉપરાંત કેટલાક પિઠ્ઠુ પર પણ લાદીને પાણીની બોટલ કેદારના સુધી પહોંચાડે છે અને તેનું ભાડુ જોડ્યા બાદ કિંમત લગભગ સરખી જ થઈ જાય છે.
કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન
કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલ્યા હતા અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 6 માર્ચથી શરૂ થઈ ગઈ હતી. વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ભક્તોને બાબા કેદારનાથના સુગમ દર્શન કરાવવા માટે ઉત્તરાખંડ સરકાર તરફથી કેદારનાથમાં ટોકન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. ટોકન પર નંબર હોય છે અને તેના આધારે જ ભક્તો લાઈનમાં રહીને દર્શન કરી શકે છે.
