કર્ણાટકઃ સગીર છોકરીઓને સફરજનમાં ડ્રગ્સ આપી લિંગાયત મહંત કરતો હતો બળાત્કાર, પોલીસનો દાવો
ચિત્રદુર્ગ જિલ્લાના મુરુગા મઠની એક શાળામાં અભ્યાસ કરતી બે છોકરીઓએ મઠના મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુગા શરણરુ (Shivamurthy Muruga Sharanru) દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કરી હતી.
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં મુરુગા મઠ દ્વારા સંચાલિત એક શાળાની છોકરીઓએ પૂર્વ મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુગા શરણરુ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે પોલીસે આ મામલામાં દાવો કર્યો છે કે શરણરુ પર ઓછામાં ઓછી 4 છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. પોલીસે કહ્યું છે કે શિવમૂર્તિ મુરુગા શરણરુ સફરજનમાં ડ્રગ્સ નાખીને છોકરીઓને ખવડાવતો હતો, ત્યાર બાદ તે સગીર છોકરી પર બળાત્કાર કરતા હતા.
ચિત્રદુર્ગ જિલ્લાના મુરુગા મઠની એક શાળામાં અભ્યાસ કરતી બે છોકરીઓએ મઠના મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુગા શરણરુ દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ પછી 1 સપ્ટેમ્બરના રોજ આરોપી શિવમૂર્તિ મુરુગા શરણરુની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ 27 ઓગસ્ટે નોંધવામાં આવ્યો હતો. આ સિવાય બે અન્ય યુવતીઓની ફરિયાદ પર શરણરુ વિરુદ્ધ પોક્સો એક્ટનો બીજો કેસ નોંધવામાં આવ્યો હતો.
ચિત્રદુર્ગ પોલીસે જિલ્લા અદાલતમાં મુરુઘા મઠના મુખ્ય મહંત શિવમૂર્તિ મુરુગા શરણરુ વિરુદ્ધ 694 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. શરણરુ વિરુદ્ધ સગીર છોકરીઓની યૌન ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે લિંગાયત સંત, હોસ્ટેલ વોર્ડન અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
છ લોકો પર આરોપ
આશ્રમની છાત્રાલયમાં રહેતી યુવતીઓએ આરોપ લગાવ્યો હતો કે શરણરુએ તેમની જાતીય સતામણી કરી હતી. શરણરુ વિરુદ્ધ અત્યાર સુધીમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. ત્રીજી એફઆઈઆરમાં શરણરુ અને હોસ્ટેલ વોર્ડન સહિત છ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ઑક્ટોબરના અંતમાં, કર્ણાટક હાઈકોર્ટે મુરુગા મઠ બળાત્કાર કેસની કથિત પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા વકીલને વકાલતનામાની માન્યતા અંગે આરોપી પૂજારી શિવમૂર્તિ મુરુગા શરણરુના દાવા સામે વાંધો રજૂ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.
વકાલતનામાની માન્યતા પર પ્રશ્ન
મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુગા શરણરુએ પીડિતો દ્વારા દાખલ કરવામાં આવેલા વકાલતનામાની માન્યતા પર સવાલો ઉઠાવ્યા છે. મઠના પૂજારી પોક્સો એક્ટની જોગવાઈઓ હેઠળના કેસમાં 1 સપ્ટેમ્બરથી કસ્ટડીમાં છે. પૂજારીના વકીલ સ્વામિની ગણેશ મોહનબલે દલીલ કરી હતી કે મણિ નામની વ્યક્તિએ બંને છોકરીઓના વાલી હોવાનો દાવો કરીને વકાલતનામા દાખલ કર્યો છે, પરંતુ કથિત પીડિતાએ વકાલતનામા માટે સંમતિ આપી હોવાનું સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ નથી.