Jammu Kashmir : પુલવામામાં આતંકવાદી હુમલામાં એક મજૂરનું મોત, બે લોકો ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગુરુવારે જ કુપવાડામાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના કબજામાંથી શંકાસ્પદ દસ્તાવેજો અને દારૂગોળો મળી આવ્યો છે
જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં(Granade Attack) ગુરુવારે એક મજૂરનું મૃત્યુ(Labour) થયું હતું જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, પુલવામાના ગદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ બહારથી આવેલા મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો અને આ આતંકવાદી ઘટનામાં એક મજૂરનું મોત થયું હતું, જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વર્ષની શરૂઆતમાં, આતંકવાદીઓએ બિન-સ્થાનિક મજૂરો પર હુમલામાં વધારો કર્યો હતો. પરંતુ છેલ્લા લગભગ બે મહિનાથી આવા હુમલામાં ઘટાડો થયો હતો.જેમાં હુમલામાં માર્યા ગયેલા મૃતક મજૂરની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે, જે બિહારના સાકવા પરસાનો રહેવાસી છે. ઘાયલોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે, જેઓ બિહારના રામપુરના રહેવાસી છે. હાલ બંનેની હાલત સ્થિર છે.
કુપવાડામાં 3 આતંકવાદીઓની ધરપકડ
સુરક્ષા દળોએ ગુરુવારે જ કાશ્મીરના કુપવાડામાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના કબજામાંથી શંકાસ્પદ દસ્તાવેજો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેયને જિલ્લાના હંદવાડા વિસ્તારમાં હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું જેથી કરીને સામાન્ય લોકોના જાન-માલના નુકસાનની સાથે શાંતિમાં ખલેલ પહોંચાડી શકાય.
હંદવાડામાં ફ્રૂટ બજાર પાસે ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોએ જ્યારે ત્રણ લોકોને રોક્યા તો તેઓએ પોલીસ ટીમને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પકડાઈ ગયા. ધરપકડ કરાયેલા બે આરોપીઓની ઓળખ મંજૂર અહેમદ અને શૌકત અહેમદ ભટ તરીકે થઈ છે. ધરપકડ કરાયેલ ત્રીજા આરોપીની ઉંમર જાણવામાં આવી રહી છે, તેથી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.