JAMMU KASHMIR : જમ્મુ-કાશ્મીર રિ-ઓર્ગેનાઈઝેશન સુધારણા બીલ-2021થી ઘાટીમાં જાણો શું બદલાવ આવશે ?
JAMMU KASHMIR : સરકારનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં અધિકારીઓની અછતને દૂર કરવા માટે અધિકારીઓની બે કેડરને એક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં ઓલ ઇન્ડિયા સર્વિસીસ ઓફિસર્સની મોટા પ્રમાણમાં અછત છે.
JAMMU KASHMIR : જમ્મુ-કાશ્મીર રિ-ઓર્ગેનાઈઝેશન સુધારણા બીલ-2021ને સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જે પસાર થઇ ગયું છે. આ બિલ જમ્મુ-કાશ્મીર રિ-ઓર્ગેનાઈઝેશન વટહુકમની જગ્યા લેશે.
ગયા મહિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીર રિ-ઓર્ગેનાઈઝેશન અધિનિયમ 2019 માં ફેરફારને મંજૂરી આપી હતી. રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી કૃષ્ણા રેડ્ડીએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે રાજ્યસભામાં કહ્યું કે છેલ્લા બે વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં ઝડથી વિકાસ કામો કરવામાં આવ્યા છે. રાજ્યના વિકાસ માટે સરકાર દ્વારા અનેક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીર કેડર હવે નાબૂદ થઇ જમ્મુ-કાશ્મીર રિ-ઓર્ગેનાઈઝેશન સુધારણા બીલ-2021 હેઠળ જમ્મુ કાશ્મીર કેડરને નાબૂદ કરવામાં આવી છે. આ કેડર હેઠળ ભારતીય પ્રશાસનિક સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વનીકરણ સેવા (IFS)ને અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત કેડરમાં જોડવામાં આવી છે, આથી હવે જમ્મુ કાશ્મીર કેડર હવે AGMUT કેડર તરીકે ઓળખાશે. આ કાયદા બાદ ઓલ ઇન્ડિયા સર્વિસીસ ઓફિસર્સ હેઠળ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના અધિકારીઓને અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ફાળવણી કરવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના IAS, IPS અને IFS કેડરને નાબૂદ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
અન્ય રાજ્યોમાં પણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે આ બિલ પહેલા જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની અન્ય રાજ્યોમાં નિમણૂંક કરવામાં આવતી નહોતી. નવા આદેશ બાદ આ પ્રતિબંધ હટાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના અધિકારીઓની અન્ય રાજ્યોમાં નિમણૂંક કરી શકાશે. રાજધાની દિલ્હી પણ AGMUT કેડર હેઠળ આવે છે. તેથી દિલ્હી કેડરના અધિકારીઓની પણ જમ્મુ-કાશ્મીરમાં નિમણૂંક કરી શકાશે. જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓ દિલ્હી, અરુણાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમમાં નિમણૂંક કરી શકાશે.
અધિકારીઓની ભારે અછત દુર કરવાનો પ્રયત્ન સરકારનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં અધિકારીઓની અછતને દૂર કરવા માટે અધિકારીઓની બે કેડરને એક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં ઓલ ઇન્ડિયા સર્વિસીસ ઓફિસર્સની મોટા પ્રમાણમાં અછત છે. કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓને લાગુ કરવામાં તેમજ અન્ય ગતિવિધિઓમાં અધિકારીઓની અછત નડતરરૂપ હતી.સરકારનું કહેવું છે કે કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટમાં એકરૂપતા જાળવવા અને શાસનની ક્ષમતા વધારવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે.