Jammu Kashmir Encounter: અમરનાથ યાત્રા પર હુમલાનું કાવતરૂ રચી રહેલા લશ્કરના બે આતંકવાદીઓ શ્રીનગરમાં એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા
શ્રીનગર(Srinagar)ના બેમિના વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદી(Terrorist KIlled)ઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
Jammu Kashmir Encounter: સોમવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે કહ્યું કે તેમનો ઈરાદો 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનો હતો. શ્રીનગરમાં નાગરિકો પર સતત થઈ રહેલા હુમલા વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આકાઓએ હુમલાને અંજામ આપવાના ઈરાદાથી પહેલગામ અનંતનાગથી સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન મીર સાથે લશ્કર-એ-તૈયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓને મોકલ્યા હતા.
અગાઉ, જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં બે પોલીસકર્મીઓની હત્યામાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આદિલ પારે રવિવારે પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા એક જ દિવસમાં ત્રણ થઈ ગઈ છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે શ્રીનગરના ક્રેશબલ પાલપોરા વિસ્તારની બહારના વિસ્તારમાં એક આતંકવાદીની હિલચાલ અંગે મળેલી માહિતીના આધારે શ્રીનગર પોલીસની વિશેષ ટીમને સર્ચ માટે તૈયાર રાખવામાં આવી હતી.
કાશ્મીરના આઈજીપીએ આ ઘટના અંગે માહિતી આપી હતી
પ્રવક્તા અનુસાર, સર્ચ દરમિયાન છુપાયેલા આતંકીએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહીમાં ગાંદરબલનો રહેવાસી આદિલ પારે ઉર્ફે અબુ બકર નામનો આતંકવાદી માર્યો ગયો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે પારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો આતંકવાદી હતો. તેણે જણાવ્યું કે પારે સપ્ટેમ્બર 2021માં આબિદ ખાન સાથે આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો અને બંને ગયા વર્ષે 2021માં શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં નાગરિકો અને બહારના લોકો પર આતંકવાદી હુમલામાં સામેલ હતા.
આ વર્ષે ખીણમાં 100 આતંકવાદીઓનો સફાયો બોલી ગયો
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે કુલગામમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બીજો પુલવામામાં માર્યો ગયો હતો. તેમણે કહ્યું કે રવિવારે સવારે પુલવામા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે પારેને ક્રેશેબલ પાલપોરામાં ઠાર કરવામાં આવ્યા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં ઘાટીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. આ વર્ષે ઘાટીમાં અત્યાર સુધીમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ-કાશ્મીરના પુલવામા જિલ્લાના દ્રબગામ ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શનિવારે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.