Gaganyaan Mission: જાણો ક્યારે લોન્ચ થશે ભારતનું પ્રથમ માનવ અંતરીક્ષ મિશન
અનક્રુડ 'જી1' મિશનને 2023ના અંત સુધીમાં લોન્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ત્યારબાદ 2024ના મધ્યમાં બીજા અનક્રુડ 'જી2' મિશન લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ 2024ના અંતમાં ફાઈનલ માનવ અંતરીક્ષ ઉડાન 'H1' મિશન લોન્ચ થશે.
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થવાના અવસર પર મિશન ગગનયાનને પહેલા વર્ષ 2022 લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી હતી પણ કોરોના વાઈરસ મહામારી અને લોકડાઉનના કારણે તે મિશન સમય પર પૂર્ણ ના થઈ શક્યુ. ત્યારે ફરી એક વાર આ મિશનને લઈને અપડેટ સામે આવ્યું છે. ગગનયાન મિશન હવે 2024ના છેલ્લા મહિનામાં લોન્ચ થશે. ત્યારે ISROએ ભારતના પ્રથમ માનવ અંતરીક્ષ મિશન માટે સિસ્ટમ્સને ડેવલેપ અને ટેસ્ટ કરવાનું ચાલુ રાખ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે કહ્યું કે ભારતની પ્રથમ માનવ અંતરીક્ષ ઉડાન ‘H1’ મિશનને 2024ના આખર મહિનામાં લોન્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું કે ‘H1’ મિશન પહેલા 2 ટેસ્ટ વ્હીકલ મિશનની યોજના બનાવવામાં આવી છે. અનક્રુડ ‘જી1’ મિશનને 2023ના અંત સુધીમાં લોન્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ત્યારબાદ 2024ના મધ્યમાં બીજા અનક્રુડ ‘જી2’ મિશન લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ 2024ના અંતમાં ફાઈનલ માનવ અંતરીક્ષ ઉડાન ‘H1’ મિશન લોન્ચ થશે.
અંતરીક્ષ યાત્રી લઈ રહ્યા છે ટ્રેનિંગ
ભારતીય વાયુસેના (Air Force) દ્વારા પસંદ કરાયેલા અંતરીક્ષ યાત્રી હાલમાં બેંગલુરૂમાં મિશનથી જોડાયેલી ટ્રેનિંગ લઈ રહ્યા છે. નિયુક્ત કરેલા અવકાશયાત્રીએ તાલીમનું પ્રથમ સત્ર પૂર્ણ કરી લીધું છે. જેમાં તેમને સ્પેસ મેડિસિન, લોન્ચ વાહન, સ્પેસક્રોફ્ટ સિસ્ટમ્સ અને ગ્રાઉન્ડ સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોર્સ મોડ્યુલમાંથી પસાર થવાનું શરૂ કરી દીધું છે.
નિયમિત શારિરિક ફિટનેસ સેશન, એરોમેડિકલ ટ્રેનિંગ અને ફ્લાઈંગ પ્રેક્ટિસ પણ ક્રુ ટ્રેનિંગનો ભાગ છે. ક્રૂ તાલીમનું બીજું સેમેસ્ટર ચાલુ છે, ગયા મહિને નવેમ્બરમાં ઈસરોએ પોતાના ક્રુ મોડ્યુલ ડેક્લેરેશન સિસ્ટમનું ઈન્ટીગ્રેટેડ મેન પેરાશુટ એયરડ્રોપ ટેસ્ટનું આયોજન કર્યુ હતું.
જાણો મિશનમાં કયા કારણે થઈ રહ્યો છે વિલંબ
જાણકારોએ પહેલા જ સંકેત આપી દીધા હતા કે મિશનમાં વધુ 2 વર્ષ વિલંબ થઈ શકે છે, કારણ કે ઈસરો આ સિસ્ટમને યોગ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે, જે મિશનને લોન્ચ કરશે અને ભારતીયોને અંતરીક્ષમાં લઈ જશે. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થવાના અવસર પર ગગનયાનને શરૂઆતમાં વર્ષ 2022માં લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે તેમાં વિલંબ થયો.