Hijab controversy : કર્ણાટકમાં 3 દિવસ માટે શાળા-કોલેજ બંધ, CM બોમાઈની જાહેરાત, કહ્યું- વિદ્યાર્થીઓ શાંતિ અને સૌહાર્દ જાળવે
કર્ણાટકના (Karnataka) ઉડુપી, શિવમોગા, બાગલકોટ સહીત અન્ય શહેર સ્થિત શૈક્ષણિક સંસ્થાઓમાં તણાવ વધતાં પોલીસ અને વહીવટીતંત્રે દરમિયાનગીરી કરવી પડી છે.
કર્ણાટકમાં (Karnataka) ચાલી રહેલા હિજાબ વિવાદ (Hijab Row) વચ્ચે, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ (Basavaraj Bommai) રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજોને આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યપ્રધાન બોમાઈએ કહ્યું કે અમે કર્ણાટક હાઈકોર્ટના (Karnataka High Court) નિર્દેશની રાહ જોઈ રહ્યા છીએ. હું વિદ્યાર્થીઓને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરું છું. તેમણે કહ્યું કે મેં શાળા પ્રશાસનને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ઝઘડો ન થવો જોઈએ. બહારથી આવતા તમામ સંબંધિત લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ ઉશ્કેરણીજનક નિવેદનો ના કરે.
હિજાબ વિવાદને લઈને કર્ણાટકમાં વધી રહેલા તણાવ મુદ્દે, રાજ્યના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ તમામ પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમજ કહ્યું કે કોઈએ પોલીસને બળપ્રયોગ કરવા દબાણ કરવું જોઈએ નહીં. જ્ઞાનેન્દ્રએ કહ્યું, ‘તમે (વિદ્યાર્થીઓ) બધા શિક્ષિત છો, તમારે તમારા ભવિષ્ય વિશે વિચારવું પડશે. કોવિડ-19ના બે વર્ષ બાદ આ વર્ષે શૈક્ષણિક વર્ગો યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યા છે. આગામી મહિનાઓમાં પરીક્ષાઓ પણ શરૂ થવાની છે અને તેની તૈયારી કરવાનો આ સમયગાળો છે.” તેમણે કહ્યું કે આ દેશના બાળકો તરીકે આપણે બધાએ ભાઈઓની જેમ સાથે ઊભા રહેવું જોઈએ. પહેરવેશ સમાનતાનું પ્રતિક છે. શૈક્ષણિક સંસ્થાઓ એ આપણી ધાર્મિક માન્યતાઓનું પાલન કરવા અથવા આપણા પોશાક બતાવવાનું સ્થાન નથી.
ઉડુપી, શિવમોગા, બાગલકોટ સહિત અન્ય ભાગોમાં તણાવ વધ્યો
આ મામલે આજે મંગળવારે કર્ણાટક હાઈકોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. હિજાબ વિવાદને લઈને પણ રાજકારણ ચરમસીમા પર છે. હકીકતમાં, ઉડુપી, શિવમોગા, બાગલકોટ અને કર્ણાટકના અન્ય શહેર સ્થિત શૈક્ષણિક સંસ્થાઓમાં વધી રહેલા તણાવને કારણે, પોલીસ અને પ્રશાસનને દરમિયાનગીરી કરવી પડી છે અને આ દરમિયાન ગૃહમંત્રીની આ ચેતવણી સમાન સંદેશો આવ્યો છે.
ઉડુપીમાં કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરે છે
બીજી તરફ, મંગળવારે કર્ણાટકના ઉડુપી જિલ્લામાં મણિપાલની MGM કોલેજમાં ભગવા રંગની શાલ અને હિજાબ પહેરેલી છોકરીઓના બે જૂથોએ એકબીજાની વિરુદ્ધ સતત સૂત્રોચ્ચારો કર્યા ત્યારે તણાવ વધી ગયો હતો. બુરખા અને હિજાબ પહેરેલી કોલેજ વિદ્યાર્થિનીઓનું એક જૂથ કોલેજ કેમ્પસમાં પ્રવેશ્યું હતું અને માથાના દુપટ્ટા પહેરવાના અધિકારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને કેમ્પસમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ દરમિયાન કેસરી શાલ પહેરેલા કેટલાક છોકરા-છોકરીઓ પણ કોલેજમાં આવી પહોંચ્યા હતા અને બીજા જૂથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને કોલેજના સ્ટાફે ગેટને તાળું મારી દીધું હતું. જ્યારે વિદ્યાર્થીઓના બંને જૂથ ગેટ પાસે રાહ જોઈ રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ દેવીદાસ નાયક અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પક્ષોએ કોઈ વાત માનવાનો ઈન્કાર કર્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વિદ્યાર્થીઓના જૂથો ‘અમને ન્યાય જોઈએ છે’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
કર્ણાટક હિજાબ વિવાદ પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓએ શાળા અને વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ. આપણે એ જોવાની જરૂર છે કે વિદ્યાર્થીઓને ઉશ્કેરનારા આ લોકો આખરે કોણ છે ?
આ પણ વાંચોઃ
Karnataka Hijab controversy: હિજાબ શું છે કે જેના પર કર્ણાટકમાં છે હોબાળો, જાણો તે બુરખા અને નકાબથી કેવી રીતે અલગ છે
આ પણ વાંચોઃ