Uttarakhand Rain Alert: ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, એલર્ટ વચ્ચે ચારધામ યાત્રાએ યાત્રાળુઓ ઉમટ્યા
ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે. ભારે હિમવર્ષા પછી પણ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી રહ્યા છે.
આ સમયે દેશના કેટલાક ભાગમાં અતિ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રસ્ત છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પર્વતીય વિસ્તારોના હવામાનમાં (weather) અચાનક પલટો આવ્યો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે ઉત્તરાખંડમાં (Uttarakhand) ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવનની (Uttarakhand Weather Update) ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી 15,000 ફૂટની ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા પણ થઈ રહી છે. હેમકુંડ સાહિબમાં રવિવારથી હવામાન ખરાબ થઈ ગયું છે. ત્યાં સતત હિમવર્ષા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે હેમકુંડ સાહેબના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
બદ્રીનાથ ધામની વાત કરીએ તો ત્યાં પણ ગઈકાલે બપોરથી થયેલા વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે. નીલકંઠ પર્વત અને નર નારાયણ પર્વત પર દરરોજ બરફ પડી રહ્યો છે. બદ્રીનાથ ધામમાં આગામી થોડા દિવસો સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના એલર્ટ બાદ વિભાગો સતર્ક છે, કારણ કે ચાર ધામની યાત્રાએ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા છે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારેયના દર્શન કરી ચુક્યા છે અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો સતત મેળાવડો જોવા મળી રહ્યો છે.
વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ
આ સાથે જ બલદુણા બ્રિજ અને લાંમ્બગઢ પાસેનો રસ્તો બંધ થઈ જવાની શક્યતા છે, કારણ કે હળવા વરસાદમાં જ અહીં ઉપરથી પથ્થરો પડી રહ્યા છે. આ અંગે પ્રશાસને NHને સ્થળ પર JCB મશીનો તહેનાત કરવા સૂચના આપી છે. રોડ બ્લોક થાય તો તાત્કાલિક સ્થળ પર કામ શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
કેદારનાથમાં સવારથી વરસાદ અને હિમવર્ષા
#WATCH उत्तराखंड: केदारनाथ धाम में बर्फबारी और सुबह से हो रही बारिश के कारण वहां ठंड बढ़ गई है लेकिन खराब मौसम और भीषण ठंड के बावजूद केदारनाथ धाम में दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु मौजूद हैं। pic.twitter.com/GsecugNHId
— ANI_HindiNews (@AHindinews) May 23, 2022
સોમવારે સવારથી જ કેદારનાથ ધામમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે ત્યાં ઠંડી વધી ગઈ છે, પરંતુ ખરાબ હવામાન અને કડકડતી ઠંડી છતાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચી રહ્યા છે.