ગંગાના પૂરનું પાણી બિહારના લોકોની છીપાવશે તરસ, CM નીતિશ કુમારની અનોખી પહેલ
Har Ghar Ganga Jal Project: જળ જીવન હરિયાલી મિશન અંતર્ગત દેશમાં આ પ્રકારની પ્રથમ ગંગા પાણી પૂરવઠા યોજનાનો ઉદ્દેશ્ય જળાશયોમાં ચાર મહિના સુધી પૂરના પાણીનો સંગ્રહ કરવાનો છે.
બિહારના બોધગયા, ગયા અને રાજગીરના લોકોને પીવા માટે શુદ્ધ અને પ્રોસેસ્ડ ગંગાનું પાણી મળશે. આ માટે મુખ્યમંત્રી નીતિશ કુમારે એક નવી પહેલ કરી છે. જેમાં આ સ્થળો પર આવતા પૂરના પાણીને પીવાના પાણીમાં ફેરવવામાં આવશે. મુખ્યમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘હર ઘર ગંગાજલ’ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે, જે બિહારના લાખો લોકો અને પ્રવાસીઓના ચહેરા પર ખુશી લાવશે. આ કાર્ય માટે મુખ્યમંત્રીની સાથે જળ સંસાધન વિકાસ અને IPRD મંત્રી સંજય કુમાર ઝા અને એન્જિનિયરિંગની દિગ્ગજ કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL)ની પણ પ્રશંસા કરવી જોઈએ.
ગંગા નદી આ વિસ્તારમાંથી વહે છે, પરંતુ ભૌગોલિક સ્થિતિને કારણે પાણી દક્ષિણ બિહાર સુધી પહોંચી નથી શક્તુ. કેટલાક વિસ્તારોમાં પાણીની અછતને કારણે સમગ્ર વર્ષ દરમિયાન પીવાના પાણીની પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે એક દુર્લભ કહી શકાય તેવા કોન્સેપ્ટ અને દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વરસાદી સિઝનમાં નદીના વધારાના પાણીને જળાશયોમાં સંગ્રહિત કરવામાં આવશે અને સમગ્ર વર્ષ દરમિયાન લોકોને પાણીનો પૂરતો પૂરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જળ જીવન હરિયાલી મિશન હેઠળ દેશમાં આ પ્રકારની પ્રથમ ગંગા પાણી પુરવઠા યોજનાનો ઉદ્દેશ જળાશયોમાં ચાર મહિના સુધી પૂરના પાણીનો સંગ્રહ કરવાનો છે. આ પ્રમુખ શહેરોમાં આ પાણીને લોકોને સુધી પહોંચાડતા પહેલા તેને ટ્રીટ કરી પીવાલાયક ચોખ્ખુ અને સુરક્ષિત બનાવવામાં આવશે.
CM નીતિશ કુમાર રાજગીર, ગયા અને બોધ ગયામાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
CM નીતિશ કુમાર 27 નવેમ્બરે રાજગીરમાં 28 નવેમ્બરે ગયા અને બોધ ગયામાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ત્રણ શહેરોમાં પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, જેના કારણે પાણીની માંગ વધારે રહે છે. આ પરિયોજના પ્રથમ ચરણમાં રાજગીર, ગયા અને બોધ ગયા શહેરોમાં એકત્ર કરાયેલા પાણીની સપ્લાય કરીને આ માંગને પૂરી કરશે.
ડિસેમ્બર 2019માં બોધ ગયામાં કેબિનેટની એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં CM નીતિશે આ ઐતિહાસિક શહેરોમાં ગંગાનું પાણી લાવવાના તેમના સંકલ્પની જાહેરાત કરી હતી. 27 અને 28 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી વતી આ મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં WRD પ્રધાન સંજય કુમાર ઝાએ જણાવ્યું હતું કે “મુખ્યમંત્રીની દીર્ઘ દૃષ્ટિ, દૂરંદેશીતા અને તેમના વિભાગના દૃઢ સંકલ્પને કારણે રેકોર્ડ સમયમાં આ અનોખા જળ વ્યવસ્થાપન પહેલને અમલમાં મૂકવા સક્ષમ બનાવ્યુ છે.
હાથીદહ ઘાટથી ગંગાનું પાણી લેવામાં આવશે
પટનાના મોકામાના હાથીદાહ ઘાટથી ગંગાનું પાણી પાઈપલાઈન દ્વારા શહેરોમાં પહોંચાડવામાં આવશે. MEILએ કોવિડ-19 જેવા પડકારો છતાં રેકોર્ડ સમયમાં કામ પૂર્ણ કર્યું. આ પ્રોજેક્ટ બિહારના લોકોની સેવા માટે તૈયાર છે. હૈદરાબાદ સ્થિત MEIL એ પ્રથમ તબક્કામાં પટનાના મોકામા વિસ્તારમાં હાથીદાહ ખાતે પ્રથમ ઈનટેક વેલ અને પંપ હાઉસ બનાવ્યું છે. હાથીદાહથી રાજગીરમાં બનેલા ડિટેન્શન ટેંકમાં પાઈપલાઈન નેટવર્ક દ્વારા પાણી મોકલવામાં આવે છે. કુલ ચાર પંપ હાઉસ બનાવવામાં આવ્યા છે. તેઓ હાથીદાહ, રાજગીર, તેતાર અને ગયામાં છે. આ પ્રોજેક્ટમાં રાજગીર (9.915 M.Cu.M), તેતર (18.633 M.Cu.M), અને ગયામાં (0.938 M.Cu.M) સક્રિય ક્ષમતાવાળા ત્રણ સંગ્રહ જળાશયો છે.
આ જળાશયોમાંથી રાજગીરમાં 24 MLD, માનપુરમાં 186.5 MLD અને ગયામાં અલગ-અલગ ક્ષમતાના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (WTP) પાણી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ 132 KV/33 KV અને 33 KV/11 KV ક્ષમતાના બે પાવર સબસ્ટેશન બનાવ્યા છે. 151 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. ચાર બ્રિજ અને એક રેલવે ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે.