11 મહિના પછી આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે થશે વાતચીત ! બેઠકમાં 5 સભ્યોની સમિતિ લેશે ભાગ
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે MSP, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને ખેડૂતો સામેના કેસો પાછા ખેંચવા સહિતની તેની પડતર માંગણીઓ પર સરકાર સાથે વાતચીત કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી.
દિલ્હીની (Delhi) સરહદો પર એક વર્ષથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની (Farmers) સોમવારે સરકાર સાથે બેઠક થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી 5 સભ્યોની સમિતિ વચ્ચે બેઠક યોજાઈ શકે છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શનિવારે MSP, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને ખેડૂતો સામેના કેસો પાછા ખેંચવા સહિતની તેની પડતર માંગણીઓ પર સરકાર સાથે વાતચીત કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી.
સોમવારની આ બેઠક લગભગ 11 મહિના પછી યોજાવા જઈ રહી છે. આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે છેલ્લી વાતચીત આ વર્ષે જાન્યુઆરીમાં થઈ હતી. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ગયા સોમવારે સંસદના સત્રના પ્રથમ દિવસે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને (Farm Laws) રદ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ કૃષિ કાયદાઓ પરત કરવા અને પાકના લઘુત્તમ ટેકાના ભાવની (MSP) કાયદેસર ગેરંટી આપવાની માગ સાથે ખેડૂતો છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે.
5 સભ્યોની સમિતિમાં ખેડૂત નેતાઓ બલબીર સિંહ રાજેવાલ, અશોક ધવલે, શિવ કુમાર કક્કા, ગુરનામ સિંહ અને યુદ્ધવીર સિંહનો સમાવેશ થાય છે. શનિવારની બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે જ્યાં સુધી તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો તેમનું આંદોલન સમાપ્ત નહીં કરે. બેઠકમાં કેન્દ્ર સરકારને ખેડૂતો સામે નોંધાયેલા કેસો હાથ ધરવા, લઘુત્તમ ટેકાના ભાવ કાયદાની ગેરંટી, વળતર અને અન્ય માંગણીઓ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.
જીવ ગુમાવનારા 702 ખેડૂતોની યાદી સરકારને મોકલી SKM એ કહ્યું કે મોરચો 7 ડિસેમ્બરે ફરી મળશે. ખેડૂતોના આંદોલન (Farmers Protest) દરમિયાન જીવ ગુમાવનારા 702 ખેડૂતોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે, જેમાં તેમના પરિવારોને વળતરની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં કહ્યું હતું કે તેમની પાસે આંદોલનમાં માર્યા ગયેલા લોકો વિશે માહિતી નથી.
દેશના વિવિધ ભાગો ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો ગયા વર્ષના નવેમ્બરથી દિલ્હીની વિવિધ સરહદો (સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર) પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ બંને પક્ષો વચ્ચે 11 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ તે તમામ અનિર્ણિત રહી હતી.
આ પણ વાંચો : નાગાલેન્ડમાં 11 લોકો અને જવાનોના મોત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે ?