AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્રૌપદી મુર્મુ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત

દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election 2022) 18 જુલાઈના રોજ થવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. ચૂંટણી પંચે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ એનરોલમેન્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે એનડીએ તરફથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

દ્રૌપદી મુર્મુ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત
Draupadi Murmu (File Image)
| Updated on: Jun 21, 2022 | 10:25 PM
Share

ભાજપ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરતી વખતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે આ વખતે મહિલા રાષ્ટ્રપતિને તક મળવી જોઈએ. દ્રૌપદી મુર્મુની વાત કરીએ તો તેમને દેશના પ્રથમ આદિવાસી રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. રાજ્યપાલનું પદ સંભાળતા પહેલા દ્રૌપદી મુર્મુ ભાજપના એસ.ટી.  મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચુક્યા છે.

જે. પી. નડ્ડાએ આપી જાણકારી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે દેશ પહેલીવાર આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ આપવાની તૈયારી કરી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે પૂર્વ ભારતમાંથી કોઈને તક આપવા માટે બધા વચ્ચે સમજૂતી થઈ હતી. અમે એ પણ વિચાર્યું કે આજ સુધી દેશને આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. આવી સ્થિતિમાં બેઠક બાદ દ્રૌપદી મુર્મુના નામ પર મહોર લાગી હતી. તેમના નામની જાહેરાત કરીને પાર્ટીએ એક તરફ આદિવાસી સમુદાયને સાધવાનું કામ કર્યું છે તો બીજી તરફ મહિલા સશક્તિકરણનો સંદેશ પણ આપ્યો છે.

કેવી રહી દ્રોપદી મુર્મુની રાજકીય કારકિર્દી

64 વર્ષીય શ્રીમતી મુર્મુ 2017ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પણ આ પદ માટે પ્રબળ દાવેદાર હતા. પરંતુ આ પ્રસંગે, બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદની પસંદગી કરવામાં આવી હતી, જે એક દલિત ચહેરો પણ છે.

દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તે ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા.

તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા, મુર્મુએ શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું.

મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી હતી. ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેમણે 6 માર્ચ, 2000 થી ઑગસ્ટ 6, 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે અને 6 ઓગસ્ટ, 2002 થી 16 મે 2004 સુધી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો.

વર્ષ 2007 માં, તેમને ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કાર પણ એનાયત કરવામાં  આવ્યો હતો. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું.

18 જુલાઈના રોજ થશે રાષ્ટ્રપતિની ચૂંટણી

તમને જણાવી દઈએ કે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ થવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. ચૂંટણી પંચે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ એનરોલમેન્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">