Rajasthan : દેવદર્શન યાત્રા વસુંધરાની હશે છેલ્લી અગ્નિપરીક્ષા ! હાઈકમાન્ડને સંદેશો પહોંચાડવામાં માહેર છે રાજે
રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે, ગેહલોત સરકારના 4 વર્ષ પૂરા થયા બાદ તેઓ રાજકીય મેદાનમાં ઉતરવા અને પોતાની તાકાત દર્શાવવા નીકળી પડ્યા છે. વસુંધરા રાજેની બિકાનેર સુધીની તાજેતરની દેવ દર્શન યાત્રા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે, જ્યાં તેમણે તેમના ખાનગી કાર્યક્રમને રાજકીય રંગ આપ્યો હતો.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો પડઘો ફરી એકવાર રાજકીય ગલિયારામાં સંભળાઈ રહ્યો છે. ગેહલોત સરકારને (Ashok Gehlot) 4 વર્ષ થયા પછી, રાજે પોતાનું રાજકીય પકડ અને પોતાની શક્તિ બતાવવા નીકળી પડ્યા છે. રાજેની બિકાનેર (Bikaner) સુધીની તાજેતરની દેવ દર્શન યાત્રા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં રાજેએ દેવ દર્શન યાત્રાના ખાનગી કાર્યક્રમને રાજકીય સ્વરૂપ આપીને હજારોની ભીડને એકઠી કરી હતી. બીજી તરફ બિકાનેરમાં જોવા મળેલી રાજેની સ્ટાઈલને જોઈને કહી શકાય કે તેઓ 2023ની લડાઈ માટે ફરીથી તૈયાર છે. રાજેએ બિકાનેમાં કહ્યું કે મારું કોઈ કામ સીધું થતું નથી, મારે સંઘર્ષ કરવો પડે છે, આજે બિકાનેરમાં તેની મહોર લાગી છે, હવે તેને કોઈ રોકી શકશે નહીં.
જણાવવામાં આવી રહ્યું છે કે રાજેની બિકાનેર જિલ્લાની જાહેર સભાની દિલ્હી સુધી ચર્ચા થઈ રહી છે. રાજેની ધાર્મિક યાત્રા તેમના રાજકીય જીવનનું મહત્વનું પાસું રહ્યું છે. તે જાણીતું છે કે રાજસ્થાનની 2018 વિધાનસભા ચૂંટણી પહેલા પણ, રાજેએ એક યાત્રા કાઢી હતી, જ્યાં તેમણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તે જ સમયે, ગયા મહિને તેમના જન્મદિવસ પર રાજેએ એક ખાનગી કાર્યક્રમ દ્વારા તેમની તાકાત બતાવી હતી. હવે ફરી એકવાર રાજ્યમાં પોતાની જાતને રાજકીય રીતે જીવંત કરવા રાજે ધાર્મિક મુલાકાતોમાં રાજકીય લાભ શોધી રહ્યા છે.
દેવ-દર્શન યાત્રાથી જોવા મળતી રાજકીય શક્તિ
રાજેએ તેમની બિકાનેરની મુલાકાત દરમિયાન દેવ-દર્શન યાત્રા દરમિયાન વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી અને ઘણી જાહેર સભાઓને સંબોધી હતી. જો કે, રાજસ્થાન ભાજપ એકમ અને બીકાનેર ભાજપ એકમના ઘણા નેતાઓએ, વસુંધરા રાજેથી અંતર જાળવી રાખ્યું હતું. જો કે વસુંધરા રાજેના વફાદાર એવા કાલીચરણ સરાફ, રાજપાલ સિંહ શેખાવત, યુનુસ ખાન અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી જેવા નેતાઓ રાજે સાથે જાહેરમાં દેખાયા હતા.
રાજેની તાજેતરની મુલાકાતને ભાજપના ટોચના નેતાઓ માટે અપમાનજનક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે, જેમણે 2018ની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેમને બાજુમાં કાઢ્યા હતા. તો બીજી બાજુ, રાજેની સ્પષ્ટવક્તા શૈલી રાજસ્થાનમાં ભાજપની વાપસી માટેના તેમના નિર્ણયને દર્શાવે છે.