Delhi Blast : લાલ કિલ્લા પર બ્લાસ્ટ કોઇ અકસ્માત નહીં આતંકી હુમલો ! પોલીસે શંકાસ્પદની કરી ધરપકડ, જુઓ Video
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા ભીષણ વિસ્ફોટને દિલ્હી પોલીસે આતંકવાદી હુમલો પ્રથમીક તપાસમાં હોવાનું જણાવ્યું છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 24 ઘાયલ થયા છે. NIA અને સ્પેશિયલ સેલ તપાસ કરી રહ્યા છે. એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

દિલ્હી પોલીસના સૂત્રોએ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. અહેવાલો મુજબ, આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. એવી માહિતી મળી છે કે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેને ગંભીર હાલતમાં LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં NIA અને સ્પેશિયલ સેલ બંને એજન્સીઓ તપાસમાં જોડાઈ ગઈ છે.
માહિતી મુજબ, પ્રારંભિક તપાસ બાદ દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ એક આયોજનબદ્ધ વિસ્ફોટ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સમયે કારની અંદર રહેલા એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસે અટકાયતમાં લીધો છે. ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી વિસ્ફોટક સામગ્રી, વાયરિંગ અને બેટરીના ટુકડા જપ્ત કર્યા છે, જેનાથી આ શંકા વધુ મજબૂત થઈ છે કે વિસ્ફોટ મેન્યુઅલી કરવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી હતી, જે ઝડપથી નજીકના ત્રણ અન્ય વાહનોમાં ફેલાઈ ગઈ. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ એજન્સીઓએ પુરાવા એકત્ર કરવા શરૂઆત કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે અને સમગ્ર પરિસ્થિતિની વિગતો મેળવી છે.
Delhi Red Fort Blast: 8 Dead, 24 Injured; Authorities Suspect Possible Terror Attack | TV9Gujarati#DelhiBlast #RedFort #TerrorAlert #DelhiNews #BreakingNews #NIA #NSG #HighAlert #Emergency #Explosion #TV9Gujarati pic.twitter.com/WzetpdWgXU
— Tv9 Gujarati (@tv9gujarati) November 10, 2025
વિસ્ફોટ બાદ ફોરેન્સિક ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ ANI સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સાંજે લગભગ 6:52 વાગ્યે, લાલ લાઇટ પર ધીમી ગતિએ ચાલતી કાર અચાનક વિસ્ફોટ સાથે રોકાઈ ગઈ. ધડાકાથી નજીકના અનેક વાહનોને પણ નુકસાન થયું. કમિશનરે કહ્યું કે વિસ્ફોટમાં કેટલાક લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.
કમિશનર ગોલ્ચાએ વધુમાં જણાવ્યું કે FSL અને NIA સહિતની તમામ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને દરેક ખૂણાની તપાસ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહને સતત પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ તપાસી રહી છે કે આ વિસ્ફોટ આતંકવાદી ષડયંત્રનો ભાગ હતો કે કોઈ અન્ય કારણોસર થયો હતો.
ઘટના બાદ દિલ્હી સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓએ રાજધાનીના મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક બનાવી દીધી છે.
