ધારાસભ્યને કેટલા સમય માટે સસ્પેન્ડ કરી શકાય? Supreme Court સમક્ષ કાયદો અને બંધારણનો પ્રશ્ન
July 2020 માં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચોમાસું સત્ર માટે મળ્યું હતું ત્યારે ભાજપના 12 ધારાસભ્યોને(BJP) 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પગલા સામે ભાજપના ધારાસભ્ય સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) ગયા
July 2020 માં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashtra Vidhansabha) ચોમાસું સત્ર માટે મળ્યું હતું ત્યારે ભાજપના 12 ધારાસભ્યોને(BJP MLAs Suspended) 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પગલા સામે ભાજપના ધારાસભ્ય સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) ગયા અને સર્વોચ્ચ ન્યાયાલય નોંધ લીધી કે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી બાર ધારાસભ્યોનું એક વર્ષ માટેનું સસ્પેન્શન prima facie અસંવૈધાનિક છે અને હકાલપટ્ટી કરતાં પણ ખરાબ છે. જે ધારાસભ્યો આ વિસ્તારમાંથી આવે છે ત્યાં એક સંવૈધાનિક ઉણપ સર્જાઈ છે જેનું પરિણામ ભયજનક બની શકે.
5 જુલાઈ, 2021 ના રોજ,મહારાષ્ટ્ર વિધાનસભા તેના બે દિવસના ચોમાસું સત્ર માટે મળ્યું પછી તરત જ હંગામો થયો હતો. આનું કારણ એ હતું કે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (BJP) એ રાજ્ય મંત્રી છગન ભુજબળ (NCP) દ્વારા કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રના અન્ય પછાત વર્ગો (ઓબીસી) પર ડેટા જાહેર કરે તેવો એક ઠરાવ રજૂ કરવાના પ્રયાસ સામે વાંધો ઉઠાવ્યો હતો. ભુજબળનું કહેવું હતું કે આ ડેટાથી મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી માટે બેઠકો અનામત રાખી શકાય.
આ બાદ વિધાનસભામાં ભાજપના સભ્યો દ્વારા હંગામા કરાયો જેના લીધે વિધાનસભાને મુલતવી રાખવી પડી અને અંતમાં મહારાષ્ટ્રના સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબે ત્યારપછી ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ રજૂ કર્યો જેમાં સંજય કુટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખાલકર, પરાગ અલવાણી, હરીશ પિંપળે, યોગેશ સાગર, જયકુમાર રાવલ, નારાયણ કુચે અને રામપુતને. ભાંગડીયા સામેલ હતા.
આ ધારાસભ્યો ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા અને મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સસ્પેન્શન રદ કરવા રિટ પિટિશન દાખલ કરી હતી. આ મામલા ઉપર વધુ સુનાવણી 18 જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે.
12 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં કરી પિટિશન
પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમનું સસ્પેન્શન “એકદમ મનસ્વી અને અપ્રમાણસર” છે. આ પડકાર મુખ્યત્વે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને નકારવા અને નિર્ધારિત પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. ધારાસભ્યોએ દલીલ કરી છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના નિયમ 53 હેઠળ, સસ્પેન્ડ કરવાની સત્તાનો ઉપયોગ ફક્ત સ્પીકર દ્વારા જ થઈ શકે છે, અને આ કિસ્સામાં કરવામાં આવ્યું હતું તેમ suspensionના ઠરાવને મતદાન માટે મૂકી શકાય નહીં.
અંગ્રેજી અખબાર Indian Expressના અહેવાલ મુજબ, 12 ધારાસભ્યોએ કહ્યું છે કે પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી ન હતી, અને સસ્પેન્શનથી બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતાના તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. તેઓએ એવી પણ રજૂઆત કરી છે કે તેમને ગૃહની કાર્યવાહીના વિડિયોની ઍક્સેસ આપવામાં આવી ન હતી, અને ચેમ્બરમાં એકઠા થયેલા વિશાળ ટોળામાં તેમની ઓળખ કેવી રીતે થઈ તે સ્પષ્ટ નથી.
મહારાષ્ટ્ર સરકારે પોતાના બચાવમાં શું કહ્યું?
રાજ્યના સંસદીય બાબતોના વિભાગના પ્રભારી સચિવ દ્વારા દાખલ કરાયેલ Affidavitમાં 12 ધારાસભ્યોના “અનુશાસનહીન અને અયોગ્ય વર્તન” તરફ ધ્યાન દોર્યું છે, અને વિપક્ષના નેતાએ માફી માંગી હતી તે હકીકત તરફ ધ્યાન દોર્યું છે. એફિડેવિટ કહે છે કે, ગૃહની અવમાનના કરનાર ધારાસભ્યો દ્વારા લેખિત ખુલાસો સાંભળવાનો કે રજૂ કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. તે કલમ 14 ના કોઈપણ ઉલ્લંઘનને નકારે છે.
મહારાષ્ટ્રના વકીલે દલીલ કરી હતી કે ગૃહે તેની કાયદાકીય ક્ષમતામાં કામ કર્યું છે, અને કલમ 212 હેઠળ, અદાલતોને વિધાનસભાની કાર્યવાહીની તપાસ કરવાનો અધિકારક્ષેત્ર નથી.
સસ્પેન્શનની લંબાઈ
મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે, જો સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોના મતવિસ્તારો આખા વર્ષ સુધી વિધાનસભામાં પ્રતિનિધિત્વ વિનાના રહેશે તો બંધારણના મૂળભૂત માળખાને અસર થશે.
બેન્ચે બંધારણના અનુચ્છેદ 190 (4) નો ઉલ્લેખ કર્યો, જે કહે છે, “જો કોઈ રાજ્યની વિધાનસભાના ગૃહનો કોઈ સભ્ય 60 દિવસના સમયગાળા માટે ગૃહની પરવાનગી વિના ગેરહાજર રહે છે, તો ગૃહ તેની સીટ ખાલી જાહેર કરી શકે છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 151 (A) હેઠળ ઉલ્લેખિત અપવાદોને બાદ કરતાં, કોઈપણ મતવિસ્તાર છ મહિનાથી વધુ સમય માટે પ્રતિનિધિ વિના રહી શકે નહીં. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે એક વર્ષનું સસ્પેન્શન પ્રથમ દૃષ્ટિએ ગેરબંધારણીય હતું કારણ કે તે છ મહિનાની મર્યાદાથી આગળ વધી ગયું હતું, અને તે “સદસ્યને સજા નહીં પરંતુ સમગ્ર મતવિસ્તારને સજા” સમાન હતું.
સાંસદો માટે સસ્પેન્શનની મર્યાદા
લોક સભાના નિયમો મુજબ મહત્તમ સસ્પેન્શન “સતત પાંચ સિટિંગ માટે અથવા સત્રના બાકીના સમય માટે, જે ઓછું હોય તે” છે અને રાજ્યસભા માટે મહત્તમ સસ્પેન્શન પણ સત્રના બાકીના સમય કરતાં વધુ નથી. સમાન નિયમો રાજ્યની વિધાનસભાઓ અને પરિષદો માટે પણ છે જેમાં મહત્તમ સસ્પેન્શન સત્રના બાકીના સમય કરતાં વધુ ન હોવું જોઈએ.
ન્યાયતંત્ર ગૃહની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે છે કે કેમ તે પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી અપેક્ષા છે. જોકે, બંધારણીય નિષ્ણાતોનું કહેવું છે કે કોર્ટે અગાઉના ચુકાદાઓમાં સ્પષ્ટતા કરી છે કે ગૃહ દ્વારા કરવામાં આવેલ ગેરબંધારણીય કૃત્યના કિસ્સામાં ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરી શકે છે.
આ પણ વાંચો: Maharashtra: પોલીસને મળી મોટી સફળતા, 2 લાખના ઈનામી નક્સલીની ધરપકડ, CRPF સાથે સંયુક્ત ઓપરેશનમાં કરાઈ ધરપકડ
આ પણ વાંચો: Maharashtra: મુંબઈમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ સામે આવતા ખળભળાટ, 9 દર્દીઓના મૃત્યુ