4 રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો, દેશભરમાં માત્ર 16 ટકા જ રહ્યા ધારાસભ્ય
દેશના મોટાભાગમાં કોંગ્રેસ સતત પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. ભાજપના મુકાબલે રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસની સ્થિતિ સતત નબળી પડી રહી છે.
ભારત જોડો યાત્રા, નેતૃત્વ પરિવર્તન સહિત ઘણા નિર્ણય કોંગ્રેસે છેલ્લા ઘણા સમયમાં લીધા છે પણ તેની કોઈ અસર જોવા મળી રહી નથી. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણીના પરિણામે ફરીથી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. 3 રાજ્યોની 180 સીટમાંથી કોંગ્રેસે માત્ર 8 સીટ પર કબ્જો કર્યો છે.
તેમાંથી પમ નાગાલેન્ડમાં કોંગ્રેસને કોઈ સીટ મળી નથી. ત્રિપુરામાં માત્ર 3 અને મેઘાલયમાં 5 સીટથી સંતોષ માનવો પડ્યો છે. એટલું જ નહીં દેશભરમાં હાલ 4033 ધારાસભ્ય છે, તેમાંથી કોંગ્રેસ પાસે માત્ર 658 ધારાસભ્ય છે, જે 16 ટકાના બરાબર છે. આ પહેલા 2014માં આ આંકડો 24 ટકાનો હતો.
આ પણ વાંચો: મોદી શાસનમાં દેશનો રાજકીય નકશો કેવી રીતે બદલાયો, પૂર્વોત્તરના પરિણામો પછી હવે શું છે સ્થિતિ?
4 રાજ્યમાં કોંગ્રેસ પાસે કોઈ ધારાસભ્ય નહીં
ચોંકાવી દેનારી વાત તો એ છે કે 4 રાજ્યમાં કોંગ્રેસ પાસે કોઈ ધારાસભ્ય નથી. પેન-ઈન્ડિયા પાર્ટી કોંગ્રેસ માટે આ નિરાશાજનક બાબત છે. હાલ આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને દિલ્હીમાં કોંગ્રેસનું કોઈ ધારાસભ્ય નથી.
2021માં પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય જીત મેળવી શક્યા નથી, જો કે ગઈકાલે આવેલા પરિણામમાં બંગાળની પેટાચૂંટણીમાં તે સાગરદિધી સીટ જીતવામાં સફળ રહી છે. આ રીતે બંગાળમાં કોંગ્રેસનું ખાતુ ખુલી ગયુ છે.
એટલુ જ નહીં ઘણા રાજ્ય એવા પણ છે, જ્યાં કોંગ્રેસની હાજરી માત્ર નામની છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની પાસે માત્ર 2 ધારાસભ્ય છે. તે સિવાય બિહારમાં પણ તેના 19 જ ધારાસભ્ય છે. પંજાબમાં પણ તેમની સ્થિતિ નબળી પડી રહી છે. તમિલનાડુ, તેલંગાણા, ઓડિશા જેવા રાજ્યોમાં પણ તે ખુબ જ નબળી છે.
તેના પરથી સમજી શકાય છે કે દેશના મોટાભાગમાં કોંગ્રેસ સતત પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. ભાજપના મુકાબલે રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસની સ્થિતિ સતત નબળી પડી રહી છે.
9 રાજ્યમાં કોંગ્રેસની 10થી પણ ઓછી સીટ
દેશના 9 રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા 10થી પણ ઓછી છે. 137 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસની સામે ક્યારેય આવો પડકાર આવ્યો નથી. એક તરફ કોંગ્રેસે અધ્યક્ષ પદની જવાબદારી હવે મલ્લિકાર્જૂન ખડગેને આપી છે તો બીજી તરફ રાહુલ ગાંધીએ 5 મહિના સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી. ત્યારબાદ પણ સીટો ના મળવી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.