
જમ્મુ કાશ્મીરના પહેલાગામના બૈસરન ઘાટીમાં, ગત 22 એપ્રિલ, 2025 ના રોજ, પાકિસ્તાનથી આવી ચડેલા મુસ્લિમ આતંકવાદીઓએ, પ્રવાસીઓના ધર્મ પુછી પુછીને ગોળીએ ઠાર કર્યા હતા. આ આતંકી ઘટનામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક રહેવાસીનું મોત નીપજ્યું હતું. પહેલગામ આતંકી હુમલા બાદ, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ના નામે પાકિસ્તાનમાં સરકાર અને સૈન્યના આશરે રહેલા આતંકી અડ્ડાઓનો સફાયો શરૂ કર્યો હતો. પાકિસ્તાનમાં સ્થિત લશ્કર એ તૈયબા અને જૈશ એ મહોમદના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવીને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ આતંકી ઘટનાને એક વર્ષ થવા આવ્યુ છે ત્યારે, ભારતીય સેનાએ પાકિસ્તાનને સાંકેતિક સ્વરૂપે કડક પરંતુ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
ભારતીય સેનાએ, પાકિસ્તાનને ઈશારામાં કડક સંદેશ આપ્યો છે. સેનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેટલીક મર્યાદા-હદ ક્યારેય ઓળંગવી ના જોઈએ, જ્યારે જો આવી રેખાઓ ખરેખર ઓળંગવામાં આવે તો તેના પરિણામોની સ્પષ્ટ યાદ અપાવે છે. પહેલગામ હુમલાની વર્ષગાંઠના એક દિવસ પહેલા, ભારતીય સેનાએ ટ્વીટ કર્યું: ‘જ્યારે માનવતાની સીમાઓનું ઉલ્લંઘન થાય છે, ત્યારે પ્રતિભાવ નિર્ણાયક હોય છે. ન્યાય મળે છે. ભારત એક થાય છે.’
આ પોસ્ટ સાથે ભારતીય સૈન્યે એક ગ્રાફિકમાં એવા શબ્દો લખી જણાવ્યા છે કે, : ‘કેટલીક રેખાઓ ક્યારેય ઓળંગવી ન જોઈએ. ભારત ભૂલતું નથી.’
When boundaries of humanity are crossed, the response is decisive.
Justice is Served.
India Stands United.#SindoorAnniversary #JusticeEndures #NationFirst pic.twitter.com/rtgYu9Hg11
— ADG PI – INDIAN ARMY (@adgpi) April 21, 2026
દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલાના એક વર્ષમાં, સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હુમલાની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને, તમામ સુરક્ષા એજન્સીઓને ખાસ કરીને પ્રવાસન વિસ્તારોની આસપાસ સંભવિત પ્રવૃત્તિઓ અંગે વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. મજબૂત અને વ્યાપક સુરક્ષા યોજના સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર બેઠકો યોજવામાં આવી છે, અને વરિષ્ઠ અધિકારીઓ હાલમાં આ વ્યવસ્થાઓની સમીક્ષા કરી રહ્યા છે.
પાકિસ્તાન સમર્થિત મુસ્લિમ આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલાથી, પહેલગામ બૈસરન ઘાટીમાં પ્રવાસન પ્રવૃતિ ઠપ્પ થઈ ગઈ હતી. એટલુ જ નહીં, કાશ્મીર ખીણ પ્રદેશમાં, દેશના વિવિધ પ્રદેશમાંથી હિન્દુઓ દ્વારા કરાતા પ્રવાસ સાવ બંધ જેવા થઈ હતા. પ્રવાસનમાં તીવ્ર ઘટાડો થયો હતો અને લગભગ 50 પ્રવાસન સ્થળોને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના સઘન ચકાસણી બાદ આ પ્રવાસન સ્થળો હવે ફરીથી ખોલવામાં આવ્યા છે. પહેલગામ અને તેની આસપાસના પ્રવાસન સ્થળો ફરીથી દેશના હિન્દુ પ્રવાસીઓથી ધમધમી રહ્યાં છે.