Operation Sindoor: Indian Army એ માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, સેનાએ 1.5 મિનિટના Videoમાં વિનાશનું ટ્રેલર રજૂ કર્યું
પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ ખાસ વિડિયો જાહેર કર્યો છે. 88 કલાક સુધી ચાલેલા આ મિશનમાં પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા.

ભારતીય સેનાએ ગયા વર્ષે 7 May ની મધરાતે ‘ઓપરેશન સિંદૂર’ નામની વિશેષ સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાન તેમજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ હવાઈ હુમલા કર્યા હતા. સેનાના દાવા મુજબ આ હુમલાઓમાં અંદાજે 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અનેક આતંકી કેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આતંકવાદ સામે હાથ ધરાયેલા આ મહત્વપૂર્ણ ઓપરેશનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભારતીય સેનાએ દોઢ મિનિટનો ખાસ વીડિયો જાહેર કર્યો છે, જેમાં ઓપરેશન દરમિયાન થયેલી સૈન્ય કાર્યવાહી અને આતંકી ઠેકાણાઓ પર થયેલા હુમલાની ઝલક જોવા મળે છે. વીડિયો દ્વારા ભારતે આતંકવાદ સામેની પોતાની કડક નીતિ અને સેનાની તૈયારીનો મજબૂત સંદેશ આપ્યો છે.
India’s resolute response calibrated and precise. Committed to safeguarding sovereignty and its people.#JusticeServed
Jai Hind. pic.twitter.com/fegLXxMJjm
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 7, 2026
ભારતીય લોકોને ધર્મ પૂછીને કર્યો હુમલો
ગયા વર્ષે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામ સ્થિત બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. માહિતી અનુસાર હુમલાખોરોએ લોકોનો ધર્મ પૂછ્યા બાદ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જેના કારણે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
‘ઓપરેશન સિંદૂર’
આ ઘટનાના થોડા અઠવાડિયામાં જ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને આતંકવાદીઓને કડક જવાબ આપ્યો હતો. સેનાએ પાકિસ્તાન અને PoKમાં આવેલા અનેક આતંકી માળખાઓને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હતા. હુમલામાં બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક, મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું કેન્દ્ર તેમજ મુઝફ્ફરાબાદ, સિયાલકોટ, કોટલી અને ભીમબર વિસ્તારમાં આવેલા આતંકી કેમ્પોનો સમાવેશ થતો હતો.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી અત્યંત સચોટ આયોજન સાથે કરવામાં આવી હતી. હુમલાઓ પછી આતંકવાદી સંગઠનોના અનેક માળખાઓ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા.
88 કલાકમાં પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો
આ સમગ્ર ઓપરેશન લગભગ 88 કલાક સુધી ચાલ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સેનાએ મોટાભાગના હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતા.
અંતે બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે હોટલાઈન પર ચર્ચા થયા બાદ 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બની હતી.
‘ઓપરેશન સિંદૂર’ આજે પણ ભારતની આતંકવાદ વિરોધી કાર્યવાહીનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે. એક વર્ષ બાદ જાહેર કરાયેલા વીડિયોએ ફરી એકવાર આ ઓપરેશનને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.
