સોનિયા-રાહુલને EDના સમન્સ બાદ કોંગ્રેસના આરોપો પર ભાજપનો પલટવાર, કહ્યું- ‘ગાંધી પરિવાર દુનિયામાં સૌથી ભ્રષ્ટ’
BJP Slams Congress: સોનિયા-રાહુલને EDના સમન્સ મામલે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ભાજપે (BJP) પલટવાર કર્યો. પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ ગાંધી પરિવારને સૌથી ભ્રષ્ટ ગણાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગાંધી પરિવાર પર આરોપ લગાવતા તેને દુનિયાનો સૌથી ભ્રષ્ટ પરિવાર કહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસના એ આરોપ પર પલટવાર કર્યો છે. જેમાં તેને નેશનલ હેરાલ્ડ કેસમાં ( National Herald corruption case) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સોનિયા ગાંધી ( Sonia Gandhi) વિરુધ્ધ ઈડી દ્ધારા આપવામાં આવેલા સમન્સ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આ ઘટનાને કાયરતાપૂર્ણ કાવતરુ ગણાવ્યું છે.
કોંગ્રેસનું કહેવું છે કે તેઓ બદલાની રાજનીતિ સામે નહીં ઝુકે. તેમણે કહ્યું કે, કાનૂની, સામાજીક અને રાજનૈતિક રુપથી લડાઈ લડશે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘ભ્રષ્ટ’ લોકોએ ડરવું પડશે અને કાયદા સામે ઝૂકવું પડશે. તેમણે રાજકીય બદલો લેવાના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ આધાર પર ભ્રષ્ટાચારના કેસમાં કોઈપણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે ક્યારેય કોઈ કાર્યવાહી રદ કરી નથી. તેમણે એમ પણ કહ્યું કે સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી કોઈ પણ કાયદાથી ઉપર નથી. દેશનો કાયદો દરેકને લાગુ પડે છે.
દેશની તપાસ એજન્સીઓ નિષ્પક્ષ અને સ્વતંત્ર છે
કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર કોંગ્રેસના આરોપની નિંદા કરતા ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, અગાઉની કોંગ્રેસ સરકારમાં ગુપ્તચર એજન્સીઓના વડાઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમના અહેવાલો પણ બદલાયા હતા. હવે મોદી સરકારના રાજમાં ભારતની તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે અને યોગ્ય રીતે કામ કરી રહી છે. કોંગ્રેસે એજન્સીઓ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, કોંગ્રેસે દેશને જણાવવું જોઈએ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને ભ્રષ્ટાચારના કેસ નેશનલ હેરાલ્ડ કેસમાં ( National Herald corruption case)જામીન પર બહાર છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને પણ જમીન સોદા સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં વચગાળાના જામીન મળ્યાં છે.
સૌથી ભ્રષ્ટ પરિવાર એટલે ગાંધી પરિવાર
બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું, “જો કોઈ સૌથી ભ્રષ્ટ પરિવાર હોય તો, માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં, તો તે ગાંધી પરિવાર છે,” તેમણે ઉમેર્યું કે લોકો આ પરિવારમાં વિશ્વાસ કરે છે પરંતુ તેઓએ દેશને લૂંટવાનો પ્રયાસ કર્યો. કોઈપણ અદાલતે તેમની સામેની કોઈપણ કાર્યવાહીને રદ કરી નથી. ગૌરવ ભાટિયાએ કહ્યું કે 2015માં દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેની કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. તે જ સમયે, નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.