સમ્મેદ શિખર પર નોનવેજ અને દારૂના વેચાણની નહીં મળે મંજૂરી, કેન્દ્ર સરકારે જૈન પ્રદર્શનકારીઓની સ્વીકારી માગ, ઝારખંડ સરકારને આપ્યો આદેશ
Sammed Shikhar: દેશભરમાં જૈન સમાજના પવિત્ર તીર્થ સ્થળ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાને લઈને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે કેન્દ્ર સરકારે જૈન સમાજની રજૂઆતને ધ્યાને લઈ સમ્મેદ શિખર પર માંસ, દારૂ અને ડ્રગ્સના વેચાણ પર પ્રતિબંધ મુકવા ઝારખંડ સરકારને નિર્દેશ કર્યો છે.
સમ્મેદ શિખર પર જૈન સમુદાયના ચાલી રહેલા વિરોધને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પર્યારવણ મંત્રાલયે સમ્મેદ શિખરને લઈને જૈન પ્રદર્શનકારીઓની માગ સ્વીકારી છે. સમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા તેની પવિત્રતા જોખમાવાને લઈને જૈન સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યો છે જેને લઈને કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને નિર્દેશ કર્યો છે કે પારસનાથ તીર્થ સ્થળ પર માંસ, દારૂ અને ડ્રગ્સ સહિતની ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્દેશ કર્યો છે. આ સાથે આ સાથે ફાસ્ટ લાઉડ મ્યુઝિક વગાડવા પર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પ્રાકૃતિક શાંતિને ખલેલ ન પહોંચાડવા અંગે પણ તાકીદ કરાઈ છે.
પ્રવાસન અને ઈકો ટુરિઝમ પર પણ હાલ પુરતી લગાવાઈ રોક
ઝારખંડમાં સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવા માટેના નિર્ણયનો જૈન સમાજ દેશભરમાં વિરોધ કરી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે જૈન સમાજની રજૂઆતોને ધ્યાને લઈ મોટો નિર્ણય લેતા પ્રવાસન અને ઈકો ટુરિઝમ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે. આ સમગ્ર મુદ્દે એક કમિટી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ એ પણ કહેવાયુ છે કે ઝારખંડ સરકાર તુરંત કોઈ પગલા લે.
કેન્દ્ર સરકારે પારસનાથ પર્વત મામલે સમિતિ બનાવતા જણાવ્યુ છે કે રાજ્ય સરકાર સમિતિમાં જૈન સમુદાયના બે સદસ્યોને સામેલ કરે. જેમા એક સ્થાનિક જનજાતિય સમુદાયના સદસ્યનો પણ સમાવેશ કરવામાં આવે. કેન્દ્ર સરકારે રાજ્યને વર્ષ 2019ની અધિસૂચનાના ખંડ 3ની જોગવાઈ પર રોક લગાવવા અને રાજ્યને તેના પર કાર્યવાહી કરવામાં આદેશ પણ આપ્યા છે.