આંધ્રપ્રદેશમાં ડીવીઝનલ કમાન્ડર સહિત 6 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, એમના પર હતુ લાખોનુ ઈનામ
સવાંગે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં વિશાખાપટ્ટનમ જિલ્લામાં બે ડિવિઝન કમિટી સભ્યો અને એક ACM સહીત માઓવાદીઓની છ કેડરોને "નિષ્ક્રિય" કરવામાં આવી હતી.
પોલીસ મહાનિર્દેશક ડી જી સવાંગે જણાવ્યું કે ડિવિઝનલ કમાન્ડર સહિત છ માઓવાદીઓએ (CPI Maoist) ગુરુવારે આંધ્રપ્રદેશ પોલીસ સમક્ષ શરણાગતી (Surrendered) સ્વીકારી હતી.
ડીજીપીએ (DGP) એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ડિવિઝનલ કમાન્ડર ચીક્કુડુ ચિન્ના રાવ ઉર્ફે સુધીરના માથા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતુ. જ્યારે એરિયા કમિટી (ACM) ના બે સભ્યો વંથલા વન્નુ ઉર્ફે મહિતા અને મદકમ સોમીદી ઉપર 4 – 4 લાખ રૂપિયાની રકમ ઈનામ તરીકે જાહેર કરવામાં આવી હતી.
અન્ય ત્રણ પર 1 – 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારા છ માઓવાદીઓમાંથી ચાર પડોશી રાજ્ય છત્તીસગઢના હતા. વિશાખા-પૂર્વ ડિવિઝનલ કમાન્ડર સુધીર ઉપર 93 ગુનાઓ નોંધાયા હતા. જેમાં 14 હત્યા અને 11 વખત ગોળીબારનો સમાવેશ થાય છે.
શું હતા આત્મસમર્પણના કારણો ?
ડીજીપીએ જણાવ્યું હતું કે પ્રજાના સમર્થનનો અભાવ તેમજ માઓવાદી કેડર દ્વારા આદિવાસી કેડર સાથે કરવામાં આવતો ભેદભાવ ગુનેગારોના આત્મસમર્પણ માટે મુખ્યત્વે જવાબદાર છે.
આંધ્ર-ઓડિશા સરહદીય વિસ્તાર (AOB) અને કટ ઓફ વિસ્તારમાં દૃશ્ય હવે બદલાઈ ગયું છે, પરિણામે માઓવાદીનું આંદોલન ઘટ્યું છે અને જનતા પર તેમનો પ્રભાવ ઘટી રહ્યો છે.
સ્થાનિક આદિવાસીઓ તરફથી ઘટતા સહકાર અને ભરતીના અભાવે માઓવાદીઓ આંદોલનને ફરી જીવંત કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સવાંગે (Director General of police) વધુમાં જણાવતાં કહ્યું કે, સરકારના વિકાસ કામો અને કલ્યાણ યોજનાઓ આદીવાસી વિસ્તારો સુધી પહોચી રહ્યા છે. જેના કારણે આદીવાસીઓમાં માઓવાદીઓનો પ્રભાવ ઘટી રહ્યો છે.
ડીજીપી (DGP)એ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં વામપંથી ઉગ્રવાદ (LWE) છેલ્લા બે વર્ષમાં સંખ્યા અને ભૌગોલિક પ્રસારની દ્રષ્ટીએ બંને રીતે ઘટી ગયો છે.
વામપંથી ઉગ્રવાદની પ્રવૃત્તિઓ હવે મોટા પ્રમાણમાં ઘટીને વિશાખાપટ્ટનમ અને પૂર્વ ગોદાવરી જિલ્લાઓ સુધી મર્યાદિત છે. છેલ્લા બે વર્ષમાં માઓવાદી કેડરની સંખ્યા 140 થી ઘટીને 54 થઈ ગઈ છે.
આવી પરીસ્થિતિમાં માઓવાદીઓ છત્તીસગઢ થી કેડરોને એઓબી વિસ્તારમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ડીજીપીએ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં કેન્દ્રીય સમિતિના સભ્ય ઉદય છત્તીસગઢથી આઠ નવા કેડરોને એઓબીમાં લાવ્યા હતા.
સવાંગે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં વિશાખાપટ્ટનમ જિલ્લામાં બે ડિવિઝન કમિટી સભ્યો અને એક ACM સહીત માઓવાદીઓની છ કેડરોને “નિષ્ક્રિય” કરવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષમાં ફાયરિંગની 11 ઘટનાઓ બની હતી જેમાં 14 માઓવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે છ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને 32 એ આત્મસમર્પણ કર્યું હતું.