મહારાષ્ટ્રમાં પુણે નજીક પિંપરી પોલીસે પકડી વ્હેલ માછલીની ઉલટી, કિંમત જાણીને ચોંકી ઉઠશો
વ્હેલ માછલીની ઉલટી અથવા એમ્બરગ્રીસને (Whale Vomit or Ambergris) પિંપરી-ચિંચવડ પોલીસે પુણે નજીકથી પકડી પાડી છે. વ્હેલની આ ઉલ્ટીને કુરિયર દ્વારા ગેરકાયદેસર રીતે વેચવા માટે મોકલવામાં આવી હતી.
વ્હેલ માછલીની ઉલ્ટી (Whale Vomit or Ambergris) જેની કિંમત બજારમાં લગભગ એક કરોડ દસ લાખ આંકવામાં આવી રહી છે. વ્હેલની આ ઉલ્ટીને (Ambergris) કુરિયર દ્વારા ગેરકાયદેસર રીતે વેચવા માટે મોકલવામાં આવી હતી. દાણચોરી કરવામાં આવી રહેલી આ ઉલટી પિંપરી-ચિંચવડ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એક યુનિટે પકડી પાડી છે. ત્રણ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે તેઓમાં જોન સુનિલ સાઠે (ઉંમર 33, રહે. મગરમાલા, નાશિક રોડ), અજીત હુકુમચંદ બગમાર (ઉંમર 61, રહે. કરંજા, નાસિક), મનોજ અલી (રહે. ભીવંડી નાશિકફાટા પિંજરવાડી)નો સમાવેશ થાય છે. આ કેસમાં જ્હોન અને અજીતની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસ કર્મચારી પ્રમોદ ગર્જેએ MIDC ભોસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી અજીત અને મનોજે આરોપી જ્હોનને વ્હેલ માછલીની ઉલટી કુરિયર દ્વારા મોકલી હતી. આરોપી જોન આ ઉલ્ટીને ગેરકાયદેસર રીતે બજારમાં વેચવાનો હતો.
વ્હેલ માછલીની 550 ગ્રામની ઉલ્ટીની કિંમત 1 કરોડ 10 લાખ, થયુને આશ્ચર્ય!
પિંપરી-ચિંચવડ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટના સભ્યને આ અંગે માહિતી મળી હતી. પોલીસે આરોપીને પકડવા માટે મોશી ટોલનાકા પાસે છટકું ગોઠવ્યું અને આરોપી જ્હોનને પકડવામાં સફળતા મળી. જ્હોન પાસેથી 1 કરોડ 10 લાખ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટી મળી આવી હતી. આ ઉલ્ટીનું વજન 550 ગ્રામ છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર વર્ષાણી પાટીલ કરી રહ્યા છે.
વ્હેલ માછલીની ઉલટીને તરતું સોનું કહેવામાં આવે છે
વ્હેલ માછલીની ઉલટીને તરતું સોનું કહેવામાં આવે છે. વાસ્તવમાં તેમાં આલ્કોહોલ હોય છે. પરફ્યુમ ઉદ્યોગ દ્વારા વ્હેલ ઉલટીનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વ્હેલ માછલીનો મળ છે કે ઉલટી. પરંતુ જ્યારે તે તાજી હોય છે, ત્યારે તેમાં મળ જેવી ગંધ આવે છે. ધીમે ધીમે તે માટી જેવું થવા લાગે છે. પછી પાણીમાં રહેવાથી તે ઠંડુ થાય છે અને ખડક જેવું દેખાવા લાગે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ખૂબ માંગ છે. તેને મેળવવા માટે, કેટલાક લોકો ગેરકાયદેસર રીતે વ્હેલ માછલીનો શિકાર કરે છે અને તેની દાણચોરી કરે છે. વ્હેલની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેનો શિકાર કરવો અથવા તેના ભાગોનો વેપાર કરવો ગેરકાયદેસર છે.
આ પણ વાંચો : Maharashtra : રાજ્ય ચૂંટણી પંચનો મોટો નિર્ણય, આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આ બેઠકો પર નહીં યોજાય ચૂંટણી