Maharashtra Violence: અકોલા પછી હવે શેવગાંવ, મહારાષ્ટ્રના 2 જિલ્લાઓમાં 2 દિવસથી હંગામો, આખરે શું કરી રહ્યા છે શિંદે-ફડણવીસ?
હજુ સુધી આ ઘટનાઓ પર રાજ્યના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શિંદે અને ફડણવીસે મૌન કેમ ધારણ કર્યું?
મહારાષ્ટ્રના (Maharashtra) અકોલા અને શેવગાંવમાં હિંસા બાદ તણાવ યથાવત છે. આ બંને ઘટનાઓમાં પોલીસ લાચાર નજરે પડી હતી. તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હજુ સુધી આ ઘટનાઓ પર રાજ્યના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શિંદે અને ફડણવીસે મૌન કેમ ધારણ કર્યું?
બંને જગ્યાએ તોફાનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કારોને આગ ચાંપવામાં આવી હતી. ભારે પથ્થરમારો થયો હતો. અકોલામાં હિંસા બાદ એક વ્યક્તિની લાશ પણ મળી આવી હતી. અકોલામાં વિવાદનું કારણ ખૂબ જ નાનું હતું. અકોલામાં, ઇન્સ્ટાગ્રામ પર ચોક્કસ સમુદાયના ધાર્મિક નેતા માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. આથી ભીડ ગુસ્સે થઈ ગઈ અને વાહનોને આગ ચાંપી દીધી. આ પછી અન્ય જૂથના લોકો પણ સ્થળ પર પહોંચ્યા અને પથ્થરમારો શરૂ કર્યો.
અકોલામાં હિંસા બાદ હવે શું સ્થિતિ?
પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો, તો તેઓએ બેકાબૂ પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો શરૂ કર્યો. હુમલામાં કુલ આઠ લોકો ઘાયલ થયા હતા, જેમાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. અકોલાના એસપી સંદીપ ઘુગેના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અનેક પોલીસ ટીમ તૈનાત છે. કોઈ વિક્ષેપના અહેવાલ નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચો : Cigarettes Seized: મુંબઈના ન્હાવા શેવા બંદરેથી 24 કરોડની વિદેશી સિગારેટ જપ્ત, 5ની ધરપકડ
શેવગાંવમાં હિંસા કેમ ફાટી નીકળી?
શેવગાંવમાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. ત્યારે જ આ શોભાયાત્રા અન્ય સમુદાયના ધાર્મિક સ્થળ નજીકથી પસાર થઈ હતી. આ દરમિયાન શોભાયાત્રા કાઢી રહેલા યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો અન્ય સમાજના લોકોએ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી, આ મામલે વિવાદ શરૂ થયો અને બંને સમુદાયો વચ્ચે પથ્થરમારો શરૂ થયો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 31 લોકોની અટકાયત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો.
રામનવમી દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી
આ પહેલા રામનવમી પર હિંસા જોવા મળી હતી. મુંબઈના માલવાણી વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. મહારાષ્ટ્રના સંભાજીનગરમાંથી પણ હિંસાના અહેવાલો હતા. હિંસા દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા અને પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.