Maharashtra politics તુટેલું ઘર સાચવવા ઉદ્ધવના પ્રયાસ, દ્રોપદી મુર્મુને આપશે સમર્થન !
રાષ્ટ્રપતિપદના ઉમેદવારને સમર્થન આપવા માટે સોમવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) દ્વારા રાજ્યસભા અને લોકસભાના સાંસદોની બેઠક બોલાવવામાં આવી હતી. એવા અહેવાલો સામે આવ્યા છે કે તેમાંથી મોટાભાગનાએ મુર્મુને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે.
શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપવા અંગે હજુ કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. જો કે, ઉદ્ધવ ઠાકરેએ સાસંદોની બોલાવેલી બેઠક બાદ સૂત્રો દ્વારા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉદ્ધવ ઠાકરે પાર્ટીમાં વધુ ભાગલાને ટાળવા માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની (Draupadi Murmu) તરફેણમાં જઈ શકે છે. બેઠક પહેલા પણ એવા અહેવાલો સામે આવ્યા હતા કે મહારાષ્ટ્રમાં શિવસેનાના મોટાભાગના સાંસદો મુર્મુને સમર્થન આપવા માગે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આગામી 18 જુલાઈએ યોજાશે. વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા (Yashwant Sinha) છે.
રાજ્યસભા અને લોકસભાના સાંસદોની બેઠક સોમવારે ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉમેદવારને મત આપવા પર વિચાર વિમર્શ કરવા માટે બોલાવવામાં આવી હતી. એવા અહેવાલો છે કે તેમાંથી મોટાભાગનાએ મુર્મુને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે. મીડિયા અહેવાલ મુજબ, પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી અને તેમના કેટલાક નજીકના મિત્રો મુર્મુની ઉમેદવારીને સમર્થન આપવા માંગતા નથી, પરંતુ શિવસેનાના નેતૃત્વનો ઝોક પાર્ટીમાં વધુ એક બળવાને રોકવાનો છે.
લગભગ એક ડઝન સાંસદોએ કહ્યું છે કે પક્ષ મુર્મુને સમર્થન આપે તો સારું રહેશે, કારણ કે તે એક મહિલા છે અને પાછા આદિવાસી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક સાંસદોએ એમ પણ કહ્યું છે કે તેમની ઉમેદવારીનું સમર્થન કરવાથી ભવિષ્યમાં ભાજપ સાથે ગઠબંધનનો માર્ગ પણ મોકળો થઈ શકે છે.
ભાજપની ચેતવણી
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય જનતા પાર્ટીના નેતા ગિરીશ મહાજને કહ્યું, ‘તેમણે પોતાનો અને સાંસદોનો અવાજ સાંભળવો જોઈએ. જો તેઓ કોઈ નિર્ણય નહીં લે તો સાંસદોમાં પણ ભાગલા પડી શકે છે. લોકસભામાં શિવસેનાના 18 સાંસદો છે. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે વિચાર મંથન બાદ સાંસદોએ આખરી નિર્ણય ઉદ્ધવ ઠાકરે પર છોડી દીધો છે. અહીં પાર્ટી સુપ્રીમોએ પણ થોડા દિવસોમાં પોતાનો નિર્ણય જણાવવાનું કહ્યું છે.
અહેવાલમાં પક્ષના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એ પણ મૂલ્યાંકન કરી રહ્યા છે કે જો તેઓ મુર્મુને સમર્થન આપે તો મહાવિકાસ અઘાડી પક્ષો કેવી પ્રતિક્રિયા આપશે. MVAમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પક્ષ સહિત અનેક પક્ષોનો સમાવેશ થાય છે.