વાજપેયી હિન્દુત્વવાદી હતા પરંતુ કટ્ટરપંથી ન હતા, ‘સબકા સાથ સબકા વિકાસ’ વાક્ય તેમને સૂટ કરે છે, સંજય રાઉતનું નિવેદન
સંજય રાઉતે કહ્યું કે વાજપેયીજીએ કહ્યું હતું કે 'હિંદુ અબ માર નહીં ખાયેગા', પરંતુ તેનો અર્થ એવો નહોતો કે 'કોઈ ઔર માર ખાયેગા'.
અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) હિન્દુત્વવાદી હતા, પરંતુ તેઓ કટ્ટરપંથી ન હતા. આ દેશ બધાનો છે. દેશની એકતા જળવાઈ રહેવી જોઈએ. આ ભાવનાને લઈને ચાલી રહ્યા હતા. આ જ કારણ છે કે જનતા તેમને એક પક્ષના નેતા નહીં, પરંતુ સમગ્ર દેશના નેતા માને છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ વાક્ય તેમને જ શોભા આપે છે. આ શબ્દોમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) ભારત રત્ન દિવંગત પૂર્વ વડાપ્રધાન અને ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. સંજય રાઉત શનિવારે મુંબઈમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે આ નિવેદન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિના અવસર પર આપ્યું હતું.
રાઉતે વાજપેયીની તુલના પંડિત જવાહરલાલ નેહરુ સાથે કરતા કહ્યું કે “નેહરુ પછી સાચા અર્થમાં લોકપ્રિય નેતા વાજપેયીજી જ હતા. એક મહાન સંસદસભ્ય અને મહાન માનવી બનવું શું છે, તે વાજપેયીજીએ તેમના આચરણ અને કાર્યો દ્વારા બતાવ્યું. તેમણે ક્યારેય હિંદુત્વના વિચારો સાથે સમાધાન કર્યું નથી. વાજપેયીજીએ કહ્યું હતું કે, ‘હિંદુ અબ માર નહી ખાયેગા’, પરંતુ તેનો અર્થ એવો નહોતો કે ‘કોઈ ઔર માર ખાયેગા’. આ દેશ દરેકનો છે. દેશની એકતા ટકી રહેવી જોઈએ. આ વિચાર તેમનો હતો. તેમણે તેમના કાર્યો દ્વારા બતાવ્યું કે કેવી રીતે ધર્માંધ થયા વિના હિન્દુત્વની રાજનીતિ કરી શકાય છે.
‘અટલ બિહારી વાજપેયી સમન્વયવાદી હતા, બધાને સાથે લઈને ચાલતા હતા’
સંજય રાઉતે વધુમાં કહ્યું કે ‘અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ભાજપના બે મુખ્ય સ્તંભ હતા. શિવસેના-ભાજપનું ગઠબંધન અટલ બિહારી વાજપેયીના સમયમાં થયું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી બાલાસાહેબ ઠાકરેની સલાહ લઈને નિર્ણય લેતા હતા. તેઓ એક સમન્વયવાદી હતા, બધાને સાથે લઈને ચાલતા તેમને આવડતું હતું. વર્તમાન સમયમાં તેમના વિચારોની અવગણના ન કરવી જોઈએ, એવી આશા રાખું છું.
‘ભાજપના લોકો તેમના નેતા અને પીએમ મોદીની વાત પણ સાંભળી રહ્યા નથી’
ઓમિક્રોનના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવા નિયંત્રણો લાગુ કર્યા છે. પરંતુ આના પર રાજનીતિ થઈ રહી છે તેમ કહીને સંજય રાઉતે ભાજપના નેતાઓને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે ‘દેશના નિષ્ણાતો અને ડૉક્ટર્સ ઓમિક્રોનના જોખમો વિશે સતત ચેતવણી આપી રહ્યા છે. પરંતુ ભાજપના નેતાઓ આ વાત સમજી રહ્યા નથી. બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે આરોગ્ય વિભાગ સાથે મહત્વની બેઠક યોજી હતી. તેમણે કોરોનાના ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ ભાજપના લોકો તેમના નેતાની વાત પણ સાંભળવા માંગતા નથી તો મહારાષ્ટ્ર ભાજપ અને રાષ્ટ્રીય ભાજપને ભગવાન બચાવે.
આ પણ વાંચો : કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા