Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રમાં (Winter Session) આજે હંગામો થયો હતો. ભાજપના નેતા નિતેશ રાણેએ તાજેતરમાં રાજ્યના મંત્રી અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની(Aaditya Thackeray) મજાક ઉડાવતા શિવસેનાએ (Shiv Sena) ભાજપને આડે હાથ લીધી હતી. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની વિધાનસભામાં એન્ટ્રી વખતે ‘મ્યાઉં-મ્યાઉ’નો અવાજ કરીને તેમની મજાક ઉડાવવામાં આવી હતી. બાદમાં શિવસેના અને ભાજપના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના ધારાસભ્ય સુહાસ કાંડેએ (Suhash Kande) મહારાષ્ટ્ર વિધાનસભામાં આદિત્ય ઠાકરેના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નિતેશ રાણે (Nitesh Rane) વારંવાર આદિત્ય ઠાકરેનું અપમાન કરી રહ્યા છે. અમે આ સહન નહીં કરીએ. ઉપરાંત શિવસેનાના ધારાસભ્ય સુનિલ શિંદેએ ગૃહમાં કહ્યું કે નિતેશ રાણે આદિત્ય વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યા છે. અત્યારે આ ભૂલને માફ કરી શકાય તેમ નથી. આ દરમિયાન તેમણે નિતેશ રાણેને સસ્પેન્ડ કરવાની માગ પણ કરી હતી.
તમને જણાવી દઈએ કે વિધાનસભા સત્રના બીજા દિવસે ભાજપના ધારાસભ્યો વિધાન ભવનના પગથિયાં પર બેસીને આંદોલન કરી રહ્યા હતા. તે દરમિયાન આદિત્ય ઠાકરે ત્યાં પહોંચ્યા અને વિધાન ભવનમાં પ્રવેશવા લાગ્યા. આવી સ્થિતિમાં આદિત્યને જોઈને નિતેશ રાણેએ જોરથી ‘મ્યાઉં મ્યાઉ’ કહેવાનું શરૂ કર્યું. નિતેશનો અવાજ સાંભળીને ભાજપના કેટલાક ધારાસભ્યો હસવા લાગ્યા. જ્યારે નિતેશને પૂછવામાં આવ્યું કે તમે આવું કેમ કહ્યું તો નિતેશે કહ્યું કે હું દર વખતે કહીશ. આ દરમિયાન શિવસેના અને ભાજપના ધારાસભ્યોએ (BJP MLA) એકબીજા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આવી સ્થિતિમાં પ્રિસાઈડિંગ ઓફિસરને 10 મિનિટ માટે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના એક નેતા ભાસ્કર જાધવે (Bhaskar Jadhav) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી કરી હતી. તે દરમિયાન નિતેશ રાણેએ ભાસ્કર જાધવની ટીકા કરી હતી અને તેમને જોકર પણ કહ્યા હતા. એટલું જ નહીં જાધવ પર આ માટે બિનશરતી માફી માંગવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : શું મંદિરોમાં ફરી લાગશે તાળા ? મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાનુ તાંડવ : આ શૈક્ષણિક સંસ્થાના 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ