રાહુલ ગાંધીની શંકા કરાઈ દૂર, ટૂંક સમયમાં મહારાષ્ટ્રની લેશે મુલાકાત : શિવસેના સાંસદ સંજય રાઉત
રાઉતે સોમવારે નવી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમણે મંગળવારે દેશની રાજધાનીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આયોજિત વિપક્ષી દળોના નેતાઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો.
શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મંગળવારે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમને ખાતરી આપી છે કે તેઓ ટુંક સમયમાં મહારાષ્ટ્રની મુલાકાત લેશે. રાઉતની પાર્ટી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સત્તામાં છે.
રાઉતે સોમવારે નવી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આયોજિત વિપક્ષી દળોના નેતાઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં વિપક્ષની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાઉતે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે છેલ્લાં થોડાં સમયથી એક બેઠક કરવાનું વિચારી રહ્યાં જ હતા. રાહુલ ગાંધીને કેટલીક શંકાઓ હતી જે હવે દૂર થઈ ગઈ છે. તેમણે ટૂંક સમયમાં મહારાષ્ટ્રની મુલાકાત લેવાની ખાતરી પણ આપી છે.
તેમણે કહ્યું, “હું મારા પક્ષ પ્રમુખ (ઉદ્ધવ ઠાકરે) ને આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા સંભવિત ગઠબંધન અંગેની ચર્ચાઓ વિશે જાણ કરીશ.”
રાહુલ ગાંધી શીવસેના અને તેના સંસ્થાપક દિવંગત બાલા સાહેબ ઠાકરે વિશે જાણવા માટે ઉત્સુક હતાં. રાઉતે વધુમાં ઉમેર્યું કે, તેમણે આ વિશે જાણકારી પણ મેળવી.
કોન્સ્ટિટ્યુશન ક્લબમાં મળ્યા 17 પાર્ટીઓના 150 નેતા
રાહુલ ગાંધીના આમંત્રણ પર, ઘણા મુખ્ય વિપક્ષી દળોના નેતાઓ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં મળ્યા હતા.
રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી, શિવસેનાના નેતા સંજય રાઉત, આરજેડીના મનોજ ઝા અને અન્ય ઘણા પક્ષોના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.
આ દરમિયાન, 17 પક્ષોના 150 નેતાઓ હાજર હતા જેમની સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી.
આ બેઠક બાદ વિપક્ષે સંસદ સુધી સાઇકલ માર્ચ કાઢી હતી. મળતી માહિતી મુજબ, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં આ સાઈકલ માર્ચ કાઢવામાં આવી હતી.
શું કહ્યું રાહુલ ગાંધીએ ?
વિપક્ષી નેતાઓ સાથેની બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મારા મતે સૌથી મહત્વની બાબત એ છે કે આપણે આ શક્તિને એક કરીએ. આ અવાજ જનતાનો છે અને એ જેટલો એક થશે, એટલો જ શક્તિશાળી હશે, તેને દબાવવો ભાજપ-આરએસએસ માટે વધુ મુશ્કેલ બનશે.
આ પાર્ટીઓએ લીધો બેઠકમાં ભાગ
કોંગ્રેસ, NCP, શિવસેના, આરજેડી (RJD), એસપી(SP), સીપીઆઈએમ(CPIM), સીપીઆઈ(CPI), આઈયુએમએલ (IUML), ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી (RSP), કેરળ કોંગ્રેસ (M), ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, ટીએમસી(TMC) અને લોકતાંત્રિક જનતા દળ (LJD) જેવા પક્ષો આ બેઠકમાં જોડાયા હતાં. જ્યારે આમ આદમી પાર્ટી આ બેઠકમાં હાજર રહી નહોતી.
આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસે શ્રીનગરના ઐતિહાસિક હરિ પર્વત કિલ્લા પર 100 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવવામાં આવશે