છેલ્લા 15 દિવસમાં લગભગ 1,000 મુસાફરો આફ્રિકન દેશોમાંથી (African nations) મુંબઈ પહોંચ્યા છે, જ્યાં કોરોના વાઈરસના નવા સ્વરૂપો અને વધુ ચેપી ‘ઓમિક્રોન વેરિએન્ટ’ (Omicron Variant ) ના કેસો નોંધાઈ રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ (Suresh Kakani) સોમવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે 466 મુસાફરોની યાદી પ્રાપ્ત થઈ છે, તેમાંથી ઓછામાં ઓછા 100ની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સોમવારે ચેતવણી આપી હતી કે પ્રારંભિક પુરાવાના આધારે વાયરસનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ વિશ્વ માટે ગંભીર ખતરો છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ સભ્ય દેશોને એક ટેકનિકલ મેમોરેન્ડમ જાહેર કરીને કહ્યું કે નવા વેરીઅન્ટ વિશે ઘણી અનિશ્ચિતતા છે. આ નવા સ્વરૂપનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.
કાકાણીએ કહ્યું કે આ બધી ચિંતાઓ વચ્ચે એરપોર્ટ અધિકારીઓએ અમને જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં લગભગ 1,000 મુસાફરો આફ્રિકન દેશોમાંથી આવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં 466 મુસાફરોની યાદી આપવામાં આવી છે.
કાકાણીએ કહ્યું ‘466 મુસાફરોમાંથી 100ના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. ત્યાર પછી જ ખબર પડશે કે તેમને સંક્રમણ લાગ્યું છે કે નહીં. જો તેમને સંક્રમણ નથી લાગ્યું તો ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ સંક્રમિત લોકોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. આ સાથે જ ‘ઓમિક્રોન’ની ઝડપી તપાસ માટે WHOના સૂચન મુજબ એસ-જીન સંબંધિત પરીક્ષણ કરવામાં આવશે.
અધિકારીએ કહ્યું કે જો કોઈ સેમ્પલમાં ‘S-જીન’ ન મળે તો માની શકાય છે કે મુસાફર ઓમિક્રોનથી સંક્રમિત છે. જો કે આની પુષ્ટિ ‘જીનોમ સિક્વન્સિંગ’ દ્વારા જ થશે. તેમણે કહ્યું કે સંક્રમિત મળી આવેલા તમામ મુસાફરોને મહાનગરપાલિકાના સંસ્થાકીય આઈસોલેશન સેન્ટર સેવન હિલ્સ હોસ્પિટલમાં રાખવામાં આવશે, પછી ભલે તેઓમાં કોઈ લક્ષણો હોય કે ન હોય.