મહારાષ્ટ્રમાં હાઈવેનું નવું નેટવર્ક: નીતિન ગડકરીએ 527 કિમીના પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, જાણો ક્યાં શહેરને હાઈ-સ્પીડ કોરિડોરનો લાભ મળશે!
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. આ બેઠકમાં 527 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અનેક નવા હાઈ-સ્પીડ કોરિડોર પર મહોર મારવામાં આવી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના પ્રસ્તાવિત નવા હાઈ-સ્પીડ કોરિડોર અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ સમીક્ષાનો મુખ્ય ઉદેશ્ય પ્રોજેક્ટ પ્લાનિંગમાં તેજી લાવી પ્રાદેશિક આર્થિક વિકાસને ટેકો આપવાનો છે. નાગપુરથી પુણે અને હૈદરાબાદ સુધીના રસ્તાઓ હવે સિક્સ લેન બનવા જઈ રહ્યા છે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
કયા મુખ્ય રૂટ પર થશે કામ?
સમીક્ષા બેઠકમાં અનેક મોટા કોરિડોર પર ચર્ચા કરવામાં આવી હતી:
- સિક્સ લેન પ્રોજેક્ટ્સ: નાગપુર-ભંડારા સેક્શન, ભંડારા-રાયપુર સેક્શન, નાગપુર-અમરાવતી અને પુણે-સતારા સેક્શનને છ લેનનો બનાવવામાં આવશે.
- નવા કોરિડોર: ગ્વાલિયર-નાગપુર, નાગપુર-હૈદરાબાદ, અને દુર્ગ-ગઢચિરોલી-મંચરિયાલ જેવા મહત્વના રૂટનો વિકાસ કરાશે.
- ફોર લેન પ્રોજેક્ટ્સ: તલોદા-બુરહાનપુર સેક્શનને ચાર લેનનો કરવામાં આવશે.
527 કિમીના 9 સ્ટેટ લેવલ પ્રોજેક્ટ્સ
બેઠકમાં મહારાષ્ટ્રના 527 કિમીના વિસ્તારને આવરી લેતા 9 મોટા નિર્માણ-સંચાલન-હસ્તાંતરણ (BOT) પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન અપાયું હતું:
- શિરુર-અહિલ્યાનગર, અહિલ્યાનગર-વડાલા, અને વડાલા-છત્રપતિ સંભાજીનગર (તમામ 4 લેન).
- છત્રપતિ સંભાજીનગર-જાલના, જાલના-વાતૂર, અને જામ-વરોરા (તમામ 4 લેન).
- નાંદેડ-નરસી-ડેગલૂર અને મલકાપુર-ચીખલી કોરિડોરનો પણ સમાવેશ થાય છે.
ભારતનો માર્ગ નેટવર્ક: દુનિયામાં બીજા નંબરે
છેલ્લા 11 વર્ષમાં ભારતનું રોડ નેટવર્ક વિશ્વનું બીજું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે:
- રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ 2014 માં 91,287 કિમી હતી જે 2025 માં વધીને 1,46,560 કિમી થઈ છે (61 ટકાનો વધારો).
- એક્સપ્રેસ વેની લંબાઈ જે 2014 માં માત્ર 93 કિમી હતી, તે 2025 ના અંત સુધીમાં 3,052 કિમી સુધી પહોંચી જશે.
- આ નિર્માણ કાર્યથી દર વર્ષે અંદાજે 33 કરોડ માનવ-દિવસની રોજગારીની તકો ઉભી થાય છે.
ગતિશીલ મહારાષ્ટ્રની દિશામાં કદમ
આ નવા હાઈવે પ્રોજેક્ટ્સ માત્ર રસ્તાઓનું નિર્માણ નથી, પરંતુ મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોને મુખ્ય શહેરો સાથે જોડવાની અને રોજગારી વધારવાની એક મોટી યોજના છે. ગડકરીના આ આયોજનથી આવનારા સમયમાં મહારાષ્ટ્રમાં મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.
