Mumbai Weather: સતત ત્રીજા વર્ષે મુંબઈમાં 3000 મીમીને પાર થયો વરસાદનો આંકડો, બુધવાર માટે પણ જાહેર કરાયુ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે આજે 28 સપ્ટેમ્બરે મુંબઈમાં ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી કરી છે. આ સાથે જ બુધવાર માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈમાં સોમવારે પડેલા મુશળધાર વરસાદે સતત ત્રીજા વર્ષે 3,000 મિમી વરસાદનો આંકડો (Mumbai Weather Forecast) પાર કરી લીધો છે. તેમ છતાં મુંબઈના લોકોને હજુ પણ વરસાદથી રાહત મળે તેમ લાગતું નથી.
ભારતીય હવામાન વિભાગે (IMD) એક આગાહી જાહેર કરી છે, જાહેર કરેલા ઓરેન્જ એલર્ટ (Orange Alert for Mumbai) મુજબ આજે 28 સપ્ટેમ્બરે મુંબઈમાં વધુ વરસાદની સંભાવના છે. આ સાથે બુધવારે એટલે કે 29 સપ્ટેમ્બરે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આઈએમડીના સાન્તાક્રુઝના ડેટા અનુસાર સોમવારના વરસાદ બાદ મોસમનો કુલ વરસાદ 3036.3 મીમી થઈ ગયો છે. આ સતત ત્રીજું વર્ષ છે કે શહેરે 3,000નો આંકડો પાર કર્યો છે. અહેવાલ મુજબ ગયા વર્ષે આ સમયે મુંબઈમાં 3,681 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે 2019માં 3,635.5 મીમી વરસાદ પડ્યો હતો.
બુધવારે મુંબઈના દૂરના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન
ગયા અઠવાડિયે હવામાનશાસ્ત્રીઓએ માહિતી આપી હતી કે આગામી સપ્તાહમાં મુંબઈમાં વરસાદની ગતિ તીવ્ર બનવાની સંભાવના છે. આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ અલગ -અલગ જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદની સંભાવના છે. આ પછી 29 સપ્ટેમ્બર, બુધવારે દૂરના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
થાણે, રાયગઢ અને પાલઘર માટે રેડ એલર્ટ જાહેર
થાણે, રાયગઢ અને પાલઘર જેવા જિલ્લાઓ માટે પણ આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણી મુજબ વિવિધ સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વરસાદના કારણે ભયનું વાતાવરણ બનેલું છે.
મહારાષ્ટ્રના મંજારા ડેમને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી ગયું હતું. જે બાદ પાણીના નિકાલ માટે સત્તાવાળાઓએ ડેમના તમામ 18 દરવાજા ખોલ્યા હતા, જેના કારણે બીડ જિલ્લાના કેટલાક ગામોમાં પુરનું જોખમ વધી ગયું છે. જ્યારે કેટલાક નજીકના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ગામોમાંથી ઘણા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી. બીડ જિલ્લાના મંજારા અને માજલગાંવ ડેમ સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે ક્ષમતા કરતા વધારે પાણીથી ભરાઈ ગયા હતા.
આ પણ વાંચો : Maharashtra: મંજારા ડેમના 18 દરવાજા ખોલાયા, બીડ જિલ્લાના ગામોમાં વધ્યુ પૂરનું જોખમ, વહીવટીતંત્રએ જાહેર કર્યુ એલર્ટ