Mumbai Sessions Court : બળજબરી પૂર્વક સેક્સ કર્યા બાદ પત્નીને લકવો, મુંબઈ સેશન્સ કોર્ટે કહ્યું ‘પતિએ કોઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું નથી’
મુંબઈના સેશન્સ કોર્ટમાં એડિશનલ જજ (Additional Judge) એસ.જે. ઘરાતની સામે મહિલાએ પોતાનો કેસ રજૂ કરતી વખતે આરોપ લગાવ્યો હતો કે, તેના પતિએ તેની સાથે બળજબરી પુર્વક સંબધો બાંધ્યા જેના કારણે તે લકવો થયો.
Mumbai Sessions Court : પત્નીની સંમતિ વિના બળજબરી પૂર્વક સંબંધ બાંધવાના કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે એક વિચિત્ર ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, તેની પત્ની સાથે બળજબરીથી સેક્સ કરનાર પતિએ કોઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું નથી.
મળતી માહિતી મુજબ, મુંબઈના એડિશનલ સેશન્સ જજ એસ.જે ઘરાત (S.J. Dharat) સામે મહિલાએ પોતાનો કેસ રજૂ કરતી વખતે આરોપ લગાવ્યો હતો કે, તેના પતિએ તેની સાથે બળજબરીથી સંબધો બાંધ્યા, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. આ માટે મહિલાએ પતિ પર બળજબરીપૂર્વક સેક્સ અને દહેજ સતામણીનો આરોપ લગાવ્યો હતો, જ્યારે આરોપી પતિએ આ કેસમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
સાસરિયાઓ તરફથી દહેજની માંગણી કરવાનો આરોપ
ફરિયાદી અનુસાર, મહિલાના લગ્ન 22 નવેમ્બર 2020 ના રોજ થયા હતા. ઉપરાંત લગ્નના થોડા દિવસો બાદ મહિલાએ તેના પતિ અને સાસરિયા પર દહેજની માંગણી કરવાનો આરોપ લગાવતા FIR નોંધાવી હતી. આ સાથે મહિલાએ જણાવ્યુ હતુ કે, 2 જાન્યુઆરીએ જ્યારે તે તેના પતિ સાથે મહાબળેશ્વર ગઈ હતી. ત્યારે તેના પતિએ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો (Physical Relationship) બનાવ્યા.વધુમાં મહિલાએ જણાવ્યું કે, આ ઘટના બાદ તે ખૂબ બીમાર થવા લાગી અને જ્યારે ટેસ્ટ કરાવ્યો ત્યારે કમરની નીચે લકવો થયાનું સામે આવ્યુ હતુ.
પતિએ તમામ આરોપોને નકાર્યા
પતિએ કોર્ટમાં તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેને ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં કહ્યુ કે, તેના પરિવાર તરફથી ક્યારેય દહેજની માંગણી કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ (Additional Sessions Judge) ઘરાતે કહ્યું કે, “મહિલાને લકવો થયો એ દુ:ખની વાત છે, પરંતુ પતિ અને તેના પરિવારના સભ્યોને આ માટે જવાબદાર ઠેરવી શકાય નહિ.”
મુંબઈની સેશન્સ કોર્ટનો આ નિર્ણયને વિચિત્ર કહેવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન કેરળ હાઇકોર્ટે (Kerala High Court) કહ્યું હતું કે, વૈવાહિક બળાત્કાર ક્રૂરતા (Marital Rape) છે અને તેને છૂટાછેડા માટેનો આધાર માની શકાય છે.