Mumbai: ફૂડવેસ્ટમાંથી ઉત્પન્ન થતી વિજળીથી હવે ઈલેક્ટ્રિક વાહનો ચાર્જ થશે, જાણો સમગ્ર વિગત
આ વીજ ઉત્પાદન પ્રોજેક્ટના સંબંધમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (electric vehicle) ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાન પર બે ચાર્જિંગ પોઈન્ટ (charging points) છે, એટલે કે બે વાહનો એક જ સમયે અને વધુ ઝડપે ચાર્જ કરી શકાય છે.
મુંબઈ મહાનગરના પર્યાવરણ સંરક્ષણ અને ‘સ્વચ્છ-સુંદર મુંબઈ’ માટે પહેલ કરીને, બીએમસીએ (BMC) સોમવારે વધુ એક નવીન પહેલ શરૂ કરી છે. ડી વોર્ડમાં કેશવરાવ ખાડે માર્ગ પર ફૂડ વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિક વાહન ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન (electric vehicle charging) ઉમેરવામાં આવ્યું છે. ભારતમાં આ પ્રકારનું પ્રથમ ચાર્જિંગ સ્ટેશન છે અને તેનું ઉદ્ઘાટન 9 મે, 2022ના રોજ રાજ્યના પર્યાવરણ મંત્રી અને મુંબઈ ઉપનગરીય જિલ્લાના સંરક્ષક મંત્રી આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) દ્વારા કરવામાં આવ્યું હતું.
આદિત્ય ઠાકરેએ આ બાબતે ટ્વીટ પણ કર્યું હતું
આદિત્ય ઠાકરે ટ્વીટ કરીને કહ્યું કે, “ખાદ્ય કચરામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટેનું આ ભારતનું પ્રથમ કેન્દ્ર છે. માત્ર મુંબઈમાં જ નહીં પણ રાજ્યના અન્ય ભાગોમાં પણ ખાસ કરીને હાઈવે પર આવા કેન્દ્રો સ્થાપવાના પ્રયાસો ચાલુ છે. આનાથી માત્ર ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત જ કરવામાં નહીં આવે, પરંતુ ઓર્ગેનિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પણ સુનિશ્ચિત થશે.”
Inaugurated India’s first EV charging station powered by bio-gas at Keshavrao Khadye Marg today, which generates 220 units of energy from household waste. Along with powering street lights, this energy plant will now charge electric vehicles too. pic.twitter.com/S3YuXE2K9G
— Aaditya Thackeray (@AUThackeray) May 9, 2022
ફૂડવેસ્ટમાંથી વીજળી ઉત્પાદનની શરૂઆત સપ્ટેમ્બર 2021માં થઈ હતી
આ પ્રોજેક્ટ BMCના ડી વોર્ડ અને એરોકેર ક્લીન એનર્જી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. હાજીઅલી વિસ્તારના કેશવરાવ ખાડે માર્ગ પર મોડી સાંજે કોર્પોરેશને વેસ્ટ ફૂડમાંથી વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સપ્ટેમ્બર 2021માં આદિત્ય ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી, વીજળી ઉત્પન્ન કરવા માટે 1.5 લાખ કિલોગ્રામથી વધુ નકામા ખોરાકની પ્રક્રિયા કરવામાં આવી છે.
પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ હવે ઇલેક્ટ્રિક વાહનો માટે કરવામાં આવશે. આ વીજ ઉત્પાદન પ્રોજેક્ટના સંબંધમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાન પર બે ચાર્જિંગ પોઈન્ટ છે, એટલે કે બે વાહનો એક જ સમયે અને વધુ ઝડપે ચાર્જ કરી શકાય છે.
અમદાવાદમાં પણ પ્રથમ ઈવી ચાર્જીંગ સ્ટેશનનો પ્રારંભ
થોડા દિવસો પહેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રીકલ વાહનો માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે ATGL (અદાણી ટોટલ ગેસ લિમિટેડ) દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો. ગ્રાહકોને વધુ સારી સુવિધા માટે આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું.