Supreme Courtના આદેશને સમજવામાં મહારાષ્ટ્રની લાતુર કોર્ટે થાપ ખાધી, જજે કહ્યું મેજિસ્ટ્રેટને શિક્ષિત કરવાની જરૂર
આખો મામલો જ્યારે ફરી સુપ્રીમ કોર્ટ પાસે આવ્યો, ત્યારે કોર્ટે તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને મેજિસ્ટ્રેટ પર ટિપ્પણી કરતા એ પણ કહ્યું કે નીચલી અદાલતના મેજિસ્ટ્રેટને શીખવાડવાની જરૂર છે.
મહારાષ્ટ્ર (Maharashtra)માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રની લાતુર અદાલતે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશને સમજવામાં ભૂલ કરી, જેની સજા ફરી આરોપીને ભોગવવાનો વારો આવ્યો. હકીકતમાં ઉચ્ચ અદાલત તરફથી આરોપીને વચગાળાની રાહત મળી હતી, તેને જ ફરીથી જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરી દેવામાં આવ્યો. આખો મામલો જ્યારે ફરી સુપ્રીમ કોર્ટ પાસે આવ્યો, ત્યારે કોર્ટે તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને મેજિસ્ટ્રેટ પર ટિપ્પણી કરતા એ પણ કહ્યું કે નીચલી અદાલતના મેજિસ્ટ્રેટને શીખવાડવાની જરૂર છે.
બનાવની વિગત એવી છે કે સુપ્રીમ કોર્ટ એક વ્યક્તિને વચગાળાની રાહત આપી હતી, છતાં તેની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના લાતુરમાંથી સોમવારે આ આખો મામલો જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે આવી તો સુપ્રીમના જજ પણ ચોંકી ગયા હતા અને તેઓએ આરોપીને તાત્કાલિક છોડવાનો આદેશ કર્યો હતો. જજ દિનેશ માહેશ્વરી અને જજ કૃષ્ણ મુરારીની બેન્ચ સામે આ કિસ્સો આવ્યો હતો. જેમાં કથિત છેતરપિંડીના કિસ્સામાં આરોપી સામે બિન જામીન પાત્ર વોરંટ મોકલવામાં આવ્યો હતો અને તેને જ્યૂડીશયલ કસ્ટડીમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો.
નવાઈની વાત એ છે કે ઉચ્ચ અદાલતે 7 મેના રોજ તે વ્યક્તિની અરજી પર એક નોટિસ જાહેર કરી હતી અને કહ્યું હતું કે લાતુરમાં નોંધાયેલા કેસના મામલે તેની ધરપકડ કરવામાં નહીં આવે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટ ટકોર કરતા કહ્યું છે કે એ જાણવું રસપ્રદ બની રહેશે કે વચગાળાના આદેશ છતાં અરજદાર સામે બિન જામીન પાત્ર વોરંટ કેવી રીતે મેળવવામાં આવ્યું? તેમણે એ પણ ઉમેર્યું છે કે એવુ લાગે છે કે નોટીસનો જવાબ આપવાની જે તારીખ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાઈ હતી, તેને માનીને છ મહિનાનો સમયગાળો નીચલી અદાલતે નક્કી કરી લીધો છે.
કોર્ટે કહ્યું છે કે જો મેજિસ્ટ્રેટે ખરેખર આવું માનીને આ આદેશ કર્યો હોય તો મેજિસ્ટ્રેટની સમજ ચિંતાનો વિષય બની જાય છે. મેજિસ્ટ્રેટને શિક્ષિત કરવાની જરૂર તેઓએ બતાવી હતી. આ સમગ્ર મામલે 7 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. આ મામલે વધુ કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી પણ ન્યાયાલય દ્વારા મૌખિક રૂપથી કહેવાયું છે કે આ આશ્ચર્યજનક અને ચોંકાવનારું છે. સમગ્ર મામલે મેજિસ્ટ્રેટને આદેશની જાણકારી મેઈલથી કરવામાં આવશે અને તેના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવશે.