Maharashtra: ‘કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેઠેલા, અમને કહી રહ્યા છે દગાબાજ’, ઉદ્ધવ ઠાકરેના હુમલા પર સીએમ શિંદેનો પલટવાર
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) શિંદે પર હુમલો કરતા કહ્યું કે, તેમણે શિવસેનાની પીઠ પર ખંજર ભોંક્યુ છે. આ મામલે શિંદેએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, જે કોંગ્રેસ અને એનસીપીના ખોળામાં જઈને બેઠા છે તે અમને કહેશે કે ખંજર કોણે માર્યું છે?
મહારાષ્ટ્રની રાજનીતિમાં (Maharashtra Politics) સીએમ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેની ખેંચતાણ દિવસેને દિવસે વધી રહી છે. રવિવારે (24 જુલાઈ) સાંજે મુંબઈમાં શિવડી નજીક કાલાચોકી વિસ્તારમાં શિવસેના (Shiv Sena) શાખાનું ઉદ્ઘાટન કરવા આવેલા ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શિંદે જૂથ માત્ર પાર્ટી જ નથી ચોરી રહ્યા, પરંતુ તેમના પિતાને પણ ચોરી કરવા નિકળ્યા છે. તેઓ મર્દ નથી, ચોર છે. બળવાખોર નહી ગદ્દાર છે. તેમણે શિવસેનાની પીઠ પર ખંજર મારી દીધું છે.
ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું છે કે જો હિંમત હોય તો ઠાકરેના નામને બદલે માતા-પિતાના નામ પર પોતાનું અસ્તિત્વ બનાવીને દેખાડે. આ હુમલાના જવાબમાં સીએમ શિંદેએ કહ્યું, કે બાળાસાહેબ ઠાકરે અમારા જેવા અસંખ્ય શિવસૈનિકો માટે પિતા સમાન હતા. તેઓ પણ શિવસેનાને એક પરિવાર માનતા હતા અને તેઓ આ પરિવારના વડા હતા. એટલા માટે અમને બાળાસાહેબનું નામ લેતા કોઈ રોકી શકે તેમ નથી.
અમે જ બાળાસાહેબના વિચારોના રખેવાળ
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જે લોકો કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેસીને હિંદુ વિરોધી શક્તિઓના વમળમાં ફસાયેલા પડ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અમે શિવસેનાની પીઠ પર ખંજર ભોંકી દીધું છે. જેમણે બાળાસાહેબના વિચારો સાથે સમાધાન કર્યું છે, તેઓ અમારા પર આરોપ લગાવી રહ્યા છે કે અમે છેતરપિંડી કરી છે. અમે કોંગ્રેસ અને એનસીપીના રખેવાળ નથી, અમે સાચા અર્થમાં બાળાસાહેબના વિચારોના રખેવાળ છીએ.
‘બાળાસાહેબ શિવસૈનિકોના પિતા સમાન, તેમનું નામ લેતા રહીશું’
એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે સમય આવશે ત્યારે તેઓ કહેશે કે કોણે કોની પીઠ પર ખંજર મુક્યું છે. અત્યારથી શું કહેવું કે ધનુષ્યનું તીર છાતીની અંદર કેટલું દૂર પહોંચ્યું છે. વાસ્તવમાં, એકનાથ શિંદે દિલ્હી જતા પહેલા ગઈ કાલે મુંબઈના રંગશારદા ઓડિટોરિયમમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં મહારાષ્ટ્રના ધનગર સમાજે ઓબીસી આરક્ષણ લાગુ કરવા બદલ તેમનું સન્માન કર્યું. આ કાર્યક્રમ પૂરો થયા બાદ પત્રકારોએ તેમને ઘેરી લીધા અને ઉદ્ધવ ઠાકરેના આરોપો પર તેમનો જવાબ માંગ્યો. ત્યારબાદ સીએમ શિંદેએ આ નિવેદનો આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે માત્ર ઉદ્ધવ ઠાકરે જ નહીં, આદિત્ય ઠાકરે પણ તેમની શિવસંવાદ યાત્રામાં સતત આરોપ લગાવી રહ્યા છે કે જે શિવસેનાએ શિંદે જૂથના નેતાઓને આટલા મોટા બનાવ્યા, આજે તેઓ શિવસેનાને ખતમ કરવાનું કાવતરું કરી રહ્યા છે.