‘બબલી મોટી નથી થઈ, અણસમજુ રહી’, BMCના ભ્રષ્ટાચારની લંકા સળગાવવાના નવનીત રાણાના નિવેદન પર પૂર્વ મેયરે આપી પ્રતિક્રિયા
આજે મીડિયા સાથે વાત કરતાં નવનીત રાણાએ (MP Navneet Rana) કહ્યું, 'હું પૂરી તાકાત સાથે મુંબઈ મહાનગર પાલિકાના (BMC) ચૂંટણી પ્રચાર માટે ઉતરીશ અને નગરપાલિકામાં શિવસેનાના ભ્રષ્ટાચારની લંકા નષ્ટ કરીશ.
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાને (Navneet Rana) આજે (8 મે, રવિવાર) મુંબઈની જે.જે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેમણે ફરી એકવાર શિવસેનાને પડકાર ફેંક્યો કે તેઓ સીએમ ઉદ્ધવ ઠાકરે સામે ચૂંટણી લડશે. તેમણે એવું કહીને આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીનું વાતાવરણ ગરમ કર્યું કે, તેઓ મુંબઈના પુત્રી છે અને આ કારણે દીકરી હોવાની ફરજ નિભાવતા બીએમસીમાં શિવસેનાના ભ્રષ્ટાચારની લંકા સળગાવીને જ રહેશે. જવાબમાં બીએમસીના પૂર્વ મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડનેકરે કહ્યું કે બબલી હજુ મોટી થઈ નથી. હજુ પણ અણસમજુ છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે માત્ર સીએમ ઠાકરે વિરુદ્ધ જ શા માટે નવનીત રાણા પીએમ મોદી સામે પણ ચૂંટણી લડી શકે છે. આજે મીડિયા સાથે વાત કરતાં નવનીત રાણાએ કહ્યું, ‘હું પૂરી તાકાત સાથે મુંબઈ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર માટે ઉતરીશ અને નગરપાલિકામાં શિવસેનાના ભ્રષ્ટાચારની લંકા નષ્ટ કરીશ. બે પેઢીઓથી મુંબઈ મહાનગરપાલિકાની સત્તા તેમના હાથમાં છે. આવનારા સમયમાં મુંબઈના લોકો અને રામ ભક્તો તેમને તેમનું સ્થાન બતાવશે.
હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ મને 14 દિવસ જેલમાં રાખવામાં આવી. આગળ, ભગવાનનું નામ લેવા માટે 14 વર્ષ સુધી જેલમાં રહેવાની મારી તૈયારી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેને મારી ચેલેન્જ છે. તેઓ મહારાષ્ટ્રના કોઈપણ જિલ્લામાંથી લડે. હું તેમની સામે ચૂંટણી લડીશ અને જીતીશ. તેમને પણ એ ખબર પડશે કે જનતાની શક્તિ શું છે.
BMCના પૂર્વ મેયરે TV9 સાથે વાતચીત કરી
નવનીત રાણાના આ હુમલાના જવાબમાં, કિશોરી પેડનેકરે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતાં કહ્યું, ‘તેમના ચોંગા-ભોંગાના એમ્પ્લીફાયરનો અવાજ હજુ પણ અલગ રીતે આવી રહ્યો છે. તેમની ખુજલી હજી પૂરી થઈ નથી. તેમની હેસિયત નથી કે, કે તેઓ મુખ્યમંત્રી સામે ચૂંટણી લડે. અમને લાગ્યું કે બબલી મોટી થઈ ગઈ છે. પણ બબલી હજી મોટી નથી થઈ, હજુ અણસમજું છે. મોટા નેતાઓ (દેવેન્દ્ર ફડણવીસ, આશિષ શેલાર) તેમને હોસ્પિટલમાં મળવા જઈ રહ્યા છે, તેમની હિંમત વધારી રહ્યા છે. તેમને ચૂંટણી પ્રચાર માટે ઉતરવા દો. શિવસૈનિકો પાસે તેમની બીમારીનો ઈલાજ છે.
સીએમ ઠાકરે જ શા માટે, રાણા પીએમ મોદી વિરૂદ્ધ પણ ચુંટણી લડી શકે – સંજય રાઉત
સંજય રાઉતે નવનીત રાણાના પડકારનો જવાબ આપતા કહ્યું કે નવનીત રાણા માત્ર સીએમ ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ જ કેમ પીએમ મોદી સામે પણ ચૂંટણી લડી શકે છે. લોકશાહીમાં દરેક ભારતીય નાગરિકને આ અધિકાર છે. શિવસેનાના નેતા દીપાલી સૈયદે કહ્યું કે નકલી સર્ટિફિકેટ દ્વારા લોટરી માત્ર એક જ વાર લાગી છે, ફરીથી નહીં લાગે.