Maharashtra : ભારત જોડો યાત્રા માટે રાહુલના સ્વાગત માટે જનારા ઉદ્ધવ ઠાકરે પર બીજેપીએ કરી આ વાત
"ઉદ્ધવ ઠાકરે ક્યારેય તેમની પાર્ટીના હિત માટે પણ ઘરની બહાર નીકળ્યા નથી, પરંતુ હવે તેમણે રાહુલ ગાંધીનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે."
કર્ણાટક (Karnataka )બાદ રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો યાત્રા’ સાથે હવે મહારાષ્ટ્રના (Maharashtra ) મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ અને વિદર્ભના અકોલા સહિત ઘણા વિસ્તારોમાંથી પસાર થવાના છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે આરોપ લગાવ્યો છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રાજનીતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભગવાન રામનું સ્થાન લીધું છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા માટે કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલ આમંત્રણને ઉદ્ધવે સ્વીકાર્યા બાદ ભાજપની ટિપ્પણીએ તેના ભૂતપૂર્વ સાથી પર હાંસી ઉડાવી હતી.
ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે મુંબઈમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, “ઉદ્ધવ ઠાકરે ક્યારેય તેમની પાર્ટીના હિત માટે પણ ઘરની બહાર નીકળ્યા નથી, પરંતુ હવે તેમણે રાહુલ ગાંધીનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે.”
‘લોકો માતોશ્રીમાં મળવા આવતા હતા, હવે ઉદ્ધવ માતોશ્રીથી બહાર નીકળીને રાહુલને મળવા જાય છે’
તેમણે કહ્યું કે ઉદ્ધવના પિતા, શિવસેનાના સ્થાપક દિવંગત બાળાસાહેબ ઠાકરે એ સુનિશ્ચિત કરતા હતા કે મહત્વપૂર્ણ વ્યક્તિઓ તેમના નિવાસસ્થાને આવે, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરેને રાહુલનું સ્વાગત કરવા નાંદેડ જવું પડશે.
‘રામ માટે ક્યારેય રસ્તા પર નથી ઉતર્યા, રાહુલ માટે માતોશ્રી છોડવા તૈયાર’
બીજેપી પ્રવક્તાએ કહ્યું કે, ઉદ્ધવ માટે મોંઢામાં રામ,બગલમાં રાહુલ જેવું છે. ઉદ્ધવ ક્યારેય હિંદુત્વ માટે રસ્તા પર ઉતર્યા નથી અને ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી દ્વારા આયોજિત રામ મંદિરના નિર્માણ માટેની રથયાત્રામાં પણ ભાગ લીધો નથી. પોતાની સભાઓમાં પોકળ નારા લગાવીને હિંદુત્વની વાત કરનારા ઉદ્ધવ ઠાકરે જ્યારે બાબરીનું માળખું તોડી પાડવામાં આવી રહ્યું હતું ત્યારે ઘરે બેસી ટીવી જોઈ રહ્યા હતા.
કેશવ ઉપાધ્યાયે એમ પણ પૂછ્યું કે રામની નહીં પણ રાહુલની આરતી કરનાર ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીની પદયાત્રામાં હાજરી આપવા માટે હજ કરતી વખતે સોનિયા ગાંધી પ્રત્યે કોંગ્રેસની વફાદારી દર્શાવશે? નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં લગભગ ત્રણ દાયકાથી સાથી રહેલા ભાજપ અને શિવસેના 2019માં મુખ્યમંત્રી પદ પર વિવાદ બાદ અલગ થઈ ગયા હતા.