શું શિવસેનાનો કિલ્લો થઈ રહ્યો છે ધ્વસ્ત ? કલ્યાણ-ડોમ્બિવલીના 55 થી વધુ શિવસેના કાઉન્સિલરો શિંદે જૂથમાં જોડાયા
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલીથી શિવસેનાના 55 થી વધુ કાઉન્સિલરો શિંદે જૂથમાં જોડાયા છે. અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના 66 કાઉન્સિલરો અને નવી મુંબઈના 32 કાઉન્સિલરો શિવસેના શિંદે જૂથમાં જોડાયા છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. શિંદે જૂથમાં (Eknath Shinde Camp) કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી (Kalyan‑Dombivli Municipal Corporation) શિવસેનાના 55 થી વધુ કાઉન્સિલરો જોડાયા છે. અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના 66 કાઉન્સિલરો અને નવી મુંબઈના32 કાઉન્સિલરો શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. શિંદે જૂથમાં સામેલ થયેલા શિવસેનાના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે દાવો કર્યો છે કે શિવસેનાના 40 ધારાસભ્યોએ બળવો કર્યા બાદ હવે પાર્ટીના 12 સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકા આપી રહ્યા છે. વિધાનસભા બાદ ઉદ્ધવ ઠાકરેને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના 67માંથી 66 કોર્પોરેટરોએ શિંદે જૂથ સાથે હાથ મિલાવ્યા છે. કલ્યાણ-ડોમ્બિવલીથી 55 થી વધુ શિવસેના કાઉન્સિલરો શિંદે જૂથમાં જોડાયા છે, જેના કારણે શિંદેની શિવસેના પર પકડ મજબૂત થઈ રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાની સત્તા ગુમાવવી પડી હતી. તેમની જગ્યાએ એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા. ઉદ્ધવ ઠાકરે પર હવે તેમના પક્ષને બચાવવા માટે ઘણું દબાણ છે, કારણ કે શિંદે જૂથ સતત પક્ષ પર તેની પકડ મજબૂત કરી રહ્યું છે.
9માંથી ત્રણ મહાનગરપાલિકા પર શિવસેનાને આંચકો
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર, મીરા ભાઈંદર, વસઈ-વિરાર, પનવેલ અને ભિવંડી નિઝામપુર નામની 9 મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે. થાણેમાં એકનાથ શિંદેની પકડ મજબૂત માનવામાં આવે છે. પરંતુ હવે એકનાથ શિંદેએ 3 મ્યુનિસિપલ કોર્પોરેશનો પર પોતાની પકડ ચુસ્ત કરી લીધી છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ સંખ્યામાં વધારો થઈ શકે છે. જો કે, આ 9 મહાનગરપાલિકાઓમાંથી મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમનું નિયંત્રણ હજુ વહીવટીતંત્ર પાસે છે. ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
સાંસદોને લઈને સતર્ક થઈ શિવસેના
આ સાથે જ સાંસદોને શિંદે જૂથમાં સામેલ થવાથી રોકવા માટે શીવસેના સતર્ક થઈ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. શિવસેનાના સંસદીય દળના નેતા સંજય રાઉતે આ માહિતી આપી છે. તેમજ સંજય રાઉતે કહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ રાવ અડસુલે પણ શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. તે હવે એકનાથ શિંદે જૂથમાં જોડાઈ શકે છે.