World Tourism Day : ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ઉત્તરોત્તર વિકાસના પંથે, કોરોનાકાળમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો
ગુજરાતનો ગિરનાર પર્વત પણ પ્રવાસીઓની પસંદગીનું સ્થળ છે. તેમાં પણ ચોમાસાની સિઝનમાં આ સ્થળની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયાં હતા. તો પાવાગઢ ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા.
દુનિયાભરમાં આજે (World Tourism Day) વર્લ્ડ ટૂરિઝમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની ટુરિઝમ ડેની ઉજવણી થીમ “સમાવેશક વિકાસ અર્થે પર્યટન” રાખવામાં આવી છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને પગલે આજે ગુજરાત વૈશ્વિક ફલક પર પહોંચી ગયું છે. અને, ગુજરાત રાજ્ય ટૂરિઝમક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
સૌથી ચોંકાવનારી વાત એ છેકે કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. જેમાં કોરોના મહામારીના સમયમાં 1 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગના જણાવ્યા મુજબ, દરેક મહિનામાં ગુજરાતમાં આશરે 50 લાખ પ્રવાસીઓ આવે છે. અહીં ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં 300થી વધુ પ્રવાસન સ્થળો છે, જેમાં 117 ધાર્મિક સ્થળો, 21 બીચ, 7 બર્ડ વૉચિંગ સાઈટ, 49 ઇકો ટૂરિઝમ સાઈટ, 5 ગાંધી સર્કિટ સાઈટ, 58 હેરિટેઝ સાઈટ, 52 મ્યુઝિયમ, 19 વીકેન્ડ સાઈટ આવેલી છે.
ગુજરાતના યાત્રાધામો પર પ્રવાસીઓની સંખ્યા વધી
ગુજરાત પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2018-19માં 575.91 લાખ, એટલે કે પ્રતિ માસ 47.99, વર્ષ 2019-20માં 609.29 લાખ, એટલે કે પ્રતિ માસ 50.47 લાખ પ્રવાસી ગુજરાત આવ્યા હતા. અત્યાર સુધી ગુજરાતમાં દેશમાં ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર મનાતું હતું. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ઉદ્યોગોની સાથે પ્રવાસન ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં ધંધા-રોજગાર અર્થે મોટીની સંખ્યામાં પરપ્રાંતિયો ગુજરાત આવતા રહે છે. ત્યારે હવે દેશ-વિદેશનાં લોકો ગુજરાતમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોને માણવા આવી રહ્યાં છે. અને, પ્રવાસનને કારણે ગુજરાત સરકારની તિજોરીમાં આવક વધી રહી છે. પ્રવાસીઓ સૌથી વધારે યાત્રાધામના સ્થળોએ આવવાનું પસંદ કરે છે. જેમાં ગુજરાતના સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના સ્થળો યાત્રિકોની પહેલી પસંદ છે. આ સિવાય ગુજરાતના 117 યાત્રાધામ સ્થળો પર પણ પ્રવાસીઓ ઉમટે છે.
ગુજરાતનો દરિયાકિનારો પણ પસંદગીનું સ્થળ
નોંધનીય છેકે દેશમાં સૌથી વિશાળ દરિયાકાંઠો ગુજરાત પાસે છે. જેને કારણે ગુજરાતને અનેક સુંદર બીચની કુદરત તરફથી દેન મળી છે. જેમાં દીવનો દરિયાકિનારો, શિવરાજપુર, માંડવી સહિત 21 જેટલાં સમુદ્રીકિનારે પ્રખ્યાત બીચો આવેલા છે. તો પર્યાવરણપ્રેમીઓ પક્ષીપ્રેમીઓ માટે નારાયણ સરોવર, ખીજડિયા સહિત 7 જેટલા પોઈન્ટ પર વિશ્વનાં અનેક પક્ષીઓ નિહાળવા પ્રવાસીઓ ઉમટે છે. પ્રકૃતિપ્રેમીઓ માટે વોટરફોલ, વાઈલ્ડલાઈફ સેન્ચુરી, તળાવ, વન જેવાં 49 જેટલાં ઈકો ટૂરિઝમ ડેસ્ટિનેશન પણ રાજયમાં ઉપલબ્ધ છે. તો અડી કડી વાવ, બૌદ્ધ ગુફાઓ, રાજ પેલેસ, અડાલજ વાવ સહિત 58 જેટલાં ઐતિહાસિક સ્થળો પણ ગુજરાત આવતા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્રબિંદુ છે.
સૌથી પસંદગીનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટ અને કેવડિયા કોલોની
ગુજરાતનું નર્મદા જિલ્લામાં આવેલું કેવડિયા હાલ પ્રવાસીઓનું સૌથી પસંદગીનું સ્થળ માનવામાં આવે છે. કેવડિયા ખાતે વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલની પ્રતિમા- ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિશ્વના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાથી અહીં પણ ઇતિહાસપ્રેમીઓની પ્રવાસીઓની આવન-જાવનમાં વધારો કરે છે. પર્યટનના ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ કચ્છમાં રણોત્સવની ઉજવણી કરે છે, અહીં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.
ગરવો ગિરનાર અને પાવાગઢ પણ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ
આ સિવાય ગુજરાતનો ગિરનાર પર્વત પણ પ્રવાસીઓની પસંદગીનું સ્થળ છે. તેમાં પણ ચોમાસાની સિઝનમાં આ સ્થળની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયાં હતા. તો પાવાગઢ ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા. આમ, ગુજરાતના વિકાસની કલગીમાં પ્રવાસન સ્થળોએ આગવું મહત્વ મેળવ્યું છે.