હોળી, ધુળેટીની ઉજવણી સાથે જોડાયેલી આ કથા તમે નહીં સાંભળી હોય !
સમગ્ર ભારતમાં હોળી ઉત્સવના પ્રાગટ્યને લઈને અનેકવિધ દંતકથાઓ જોડાયેલી છે. જેમાંથી જ એક છે કામદેવ દહનની કથા !
સમગ્ર ભારતમાં હોળી (HOLI) ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. નકારાત્મક્તા પર સકારાત્મકતાના વિજયને વધાવતા હોળીનો ઉત્સવ ઉજવાય છે. આમ તો, આ અવસર સાથે જોડાયેલી ભક્ત પ્રહ્લાદ અને હોલિકાની કથા તો બધાં જાણે જ છે. પણ, સમગ્ર ભારતમાં હોળી ઉત્સવના પ્રાગટ્યને લઈને અનેકવિધ દંતકથાઓ જોડાયેલી છે. જેમાંથી જ એક છે કામદેવની કથા !
પ્રચલીત કથા અનુસાર સતીના મૃત્યુ બાદ દેવાધિદેવ અખંડ વૈરાગ્ય અને સાધનામાં લીન થઈ ગયા. દેવી સતીએ શિવજી સાથે મિલન માટે પાર્વતી રૂપે પુન: જન્મ લીધો. દેવી પાર્વતી તો વિવાહયોગ્ય થઈ ગયા. પરંતુ, શિવજીની સમાધિ ન છૂટી. આખરે, દેવતાઓએ કામદેવને વિનંતી કરી કે તે આ મહાનકાર્યને પાર પાડે અને શિવ-પાર્વતીના મિલનનું નિમિત્ત બને. કામદેવની સ્વયંની ઈચ્છા પણ તે જ હતી. “હું આ કરી જ શકીશ” તેવા મદમાં મસ્ત થયેલા કામદેવે મહેશ્વર પર ‘કામ’નું બાણ ચલાવી દીધું.
કામબાણ ચાલતા જ દેવાધિદેવનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમણે ત્રીજું નેત્ર ખોલી દીધું અને કામદેવ તે નેત્રમાંથી નીકળેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. મહેશ્વરના ‘કામ’ને જાગૃત કરવાનો પ્રયત્ન કરનાર ‘કામ’ સ્વયં રાખ બની ગયા ! આ ઘટનાને નિહાળનાર સૌ કોઈ ગભરાઈ ગયું. હવે શું કરવું તે કોઈને સમજાઈ ન હતું રહ્યું. ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી કામદેવની પત્ની રતિને જોઈ કરુણાનિધાન શિવજીનું હૃદય પીગળી ગયું.
કથા એવી છે કે રતિની પ્રાર્થનાને વશ થઈ શિવજીએ કામદેવને નવજીવન આપ્યું. નવજીવન પામેલા કામદેવનો અહંકાર પૂર્ણપણે ઓગળી ચૂક્યો હતો. કહે છે કે આ ઘટનાથી જ હોળી અને ધુળેટી પર્વની શરૂઆત થઈ ! ભારતના આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવાં રાજ્યોમાં આજે પણ હોળીનો અવસર કામદેવ દહનના પ્રતિક રૂપે જ ઉજવાય છે. લોકો પ્રતિકાત્મક રૂપે અગ્નિમાં વાસનાત્મક આકર્ષણનું દહન કરે છે. તો બીજા દિવસે ‘મદ’મુક્ત અને અણિશુદ્ધ પ્રેમવાળા કામદેવના જીવિત થવાની ખુશીમાં એકબીજા પર રંગ-ગુલાલ ઉડાડે છે. એટલે કે, ધુળેટીની ઉજવણી કરે છે.
આ પણ વાંચો આપના આર્થિક પ્રશ્નો દુર કરશે શ્રી ગણેશનો આ મહામંત્ર !