GUJARAT : રાજ્યની શાળાઓમાં ધોરણ-9 થી 11 ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણથી છુટકારો
Classes 9 to 11 started in Gujarat : પ્રથમ દિવસે માંડ 30 ટકા વાલીઓએ જ સંમતિ આપી છે. સામાન્ય રીતે શાળાઓમાં એક ક્લાસમાં 55 વિદ્યાર્થીઓ હોય છે. અડધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો પણ એક ક્લાસમાં 25થી 30 વિદ્યાર્થીઓ હોવા જોઈએ તેના બદલે માંડ 10 થી 12 વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા.
GUJARAT : રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ની શાળાઓ શરૂ થઈ છે. ઓફલાઈન શિક્ષણને લઇને વિદ્યાર્થીઓમાં લાંબા સમય બાદ મિત્રોને મળવાનો અને સાથે ભણવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ખતરા વચ્ચે સરકારની ગાઈડલનના ચુસ્ત અમલ અને સાવચેતી સાથે શાળાઓ શરૂ થઈ છે.ધોરણ-12 બાદ હવે ધોરણ-9 થી 11ના વર્ગ માટે પણ શાળાઓ આજથી શરૂ કરવામાં આવી છે.
કોરોના ગાઈડલાઈન – નિયમોનું ચુસ્તપણે પાલન વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓના સંમતિપત્ર મેળવીને વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે.પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા.કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સેનીટાઈઝર અને થર્મલ ગનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા વિસ્તારની ભાવિન વિદ્યા વિહાર સ્કુલના પ્રિન્સિપાલ કેતન દીક્ષિતે જણાવ્યું હતું કે સ્કૂલમાં સોશીયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે.. શાળાઓમાં અલગ અલગ ધોરણમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સમયે રીસેસ સમય રાખવામાં આવ્યો છે..જેથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એક સાથે ભેગા ન થાય.
વિદ્યાર્થીઓને ઓડ-ઇવન પદ્ધતિથી શાળાએ બોલાવશે શિક્ષકોએ પણ લાંબા સમય બાદ વિદ્યાર્થીઓને રૂબરૂમાં ભણાવવાનો આનંદ વ્યક્ત કરી સરકારના નિર્ણયને આવકાર્યો હતો.અડધા વિદ્યાર્થીઓને ઓડ ઇવન પદ્ધતિ મુજબ શાળામાં બોલાવવાના હોવાથી શિક્ષકોને એક જ પાઠ બે વખત ભણાવવા પડશે. આ અંગે શિક્ષક દર્શનાબેન જાનીએ જણાવ્યું હતું કે આજે વિદ્યાર્થીઓને જે ભણાવ્યું હશે તે જ આવતીકાલે આવનાર વિદ્યાર્થીઓને પણ ભણાવવું પડશે.જેના કારણે શિક્ષકો એક અઠવાડિયામાં 6 તાસને બદલે ત્રણ તાસ લઇ શકશે.જેના કારણે અભ્યાસક્રમ પૂરો કરવામાં સમય લાગશે.
30 ટકા વાલીઓએ જ સંમતિ આપી શાળાઓ શરૂ થઈ પરંતુ વાલીઓને હજુ પણ કોરોનાની ત્રીજી લહેરનો ડર લાગી રહ્યો છે.પ્રથમ દિવસે માંડ 30 ટકા વાલીઓએ જ સંમતિ આપી છે..ધીમે ધીમે વાલીઓ શાળામાં વિદ્યાર્થીઓની સેફટી જોઈને બાળકને શાળામાં મોકલે છે.વાલીઓની માંગ છે કે શાળામાં સાવચેતીના પગલાં લેવામાં આવશે તો વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનો કોઈ ડર નથી.
વાલી પિયુષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે શાળાઓએ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જોઈએ.શાળાઓ નિયમોનું પાલન કરે તો વિદ્યાર્થીઓને શાળામાં મોકલવામાં કોઈ વાંધો નથી.
તો બીજા વાલી પલ્લવીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકોને શાળામાં મોકલવાનો ડર તો લાગે છે, પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ મહત્વનો છે.શાળામાં સરકારની ગાઇડલાઈનનું પાલન થાય તો વિદ્યાર્થીઓને શાળામાં મોકલવામાં કોઈ સંકોચ નથી.
શું છે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા ? ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રુચિકા ભુવાએ જણાવ્યું હતું કે શાળામાં દરરોજ આવવાથી કોરોનાનો ડર તો લાગે છે.પરંતુ સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનીટાઇઝર સહિતના નિયમોનું પાલન કરીશું.ઓનલાઇન અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી.અભ્યાસમાં આવતા પ્રશ્નોનું નિવારણ થતું નહોતું, હવે ઓફલાઈનમાં શિક્ષકો સાથે સીધીચર્ચા કરી શકીશું અને સારા માર્ક્સ લાવી શકીશું.
સામાન્ય રીતે શાળાઓમાં એક ક્લાસમાં 55 વિદ્યાર્થીઓ હોય છે. એક બેચ પર ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે.પરંતુ કોરોનાને કારણે ક્લાસમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.અડધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો પણ એક ક્લાસમાં 25થી 30 વિદ્યાર્થીઓ હોવા જોઈએ તેના બદલે માંડ 10 થી 12 વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા.