ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર નેતાઓના ધામા…મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દાયકાથી શહેરી વિસ્તારોમાં મોટાભાગે ભાજપનો દબદબો રહ્યો છે. અને તેના જ કારણે શહેરી બેઠકો પર છેલ્લા દિવસોમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરવામાં માને છે. આવું જ કંઈક અમરાઈવાડી વિધાનસભામાં થઈ રહ્યું છે. અત્યાર સુધી શાંત આ બેઠક પર અચાનક હાઈવોલ્ટેજ પ્રચાર જોવા મળશે. અમદાવાદ શહેર ભાજપ સંગઠન અને જૂથવાદ એક સિક્કાની 2 […]
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દાયકાથી શહેરી વિસ્તારોમાં મોટાભાગે ભાજપનો દબદબો રહ્યો છે. અને તેના જ કારણે શહેરી બેઠકો પર છેલ્લા દિવસોમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરવામાં માને છે. આવું જ કંઈક અમરાઈવાડી વિધાનસભામાં થઈ રહ્યું છે. અત્યાર સુધી શાંત આ બેઠક પર અચાનક હાઈવોલ્ટેજ પ્રચાર જોવા મળશે. અમદાવાદ શહેર ભાજપ સંગઠન અને જૂથવાદ એક સિક્કાની 2 બાજુ બની ગઈ છે.
આ પણ વાંચોઃ રાધનપુરની બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હરાવવા સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ કરાઈ રહ્યા છે?
પરંતુ છેલ્લા 3 વર્ષથી આ વલણમાં અધધ વધારો પણ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે, જ્યારે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અમદાવાદના કદાવર નેતાઓ દ્વારા તેમના ‘માણસો’ માટે ટિકિટનું પુરજોશમાં લોબિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે જ સ્વચ્છ છબીની છાપ અને પાર્ટીના જૂના કાર્યકર્તા જગદીશ પટેલને ટિકિટ આપતા વિવાદ વકર્યો હતો. જો કે નિર્ણય હાઈકમાન્ડથી થયો હોવાના કારણે કોઈનો ‘બાગી’ સુર પુરાવવાની હિંમત ન ચાલી. પરંતુ જૂથવાદના પરિણામે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલે ડોર ટુ ડોટ પ્રચાર એકલા હાથે કરવો પડ્યો.
જ્યાં એક તરફ પેટાચૂંટણીના ઇતિહાસમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રીઓએ જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યાં બીજી તરફ અમદાવાદની અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એકલા હાથે ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું નજરે પડી રહ્યું છે. જો કે આંતરિક વિવાદથી જો સીટ ગુમાવવાનો વારો આવે તો ભાજપના પ્રદેશ નેતૃત્વથી માંડીને પ્રધાનોને માઠા પરિણામ ભોગવવા પડશે. એ વાતથી પણ હોદ્દેદારો બખૂબી વાકેફ છે. અને એના કારણે જ અમરાઈવાડી બેઠક પર કેન્દ્રીય મંત્રીથી લઈ કેબિનેટ પ્રધાન સભા તથા બેઠક લેવાની શરૂ કરી દીધી છે.
જો કે આ બેઠક પર છેલ્લા 4 દિવસથી પાટીદાર નેતાઓ જ આમને સામને છે. બીજી તરફ જૂથવાદ પણ જોવા મળી રહ્યો છે. એટલા માટે જ હવે આ બેઠક પર નાયબ મુખ્યમંત્રી, નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી કૌશિક પટેલ, આર.સી.ફળદુ, ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જુદી જુદી સભાઓ અને લોક સંપર્ક કરી રહ્યા છે. બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમરાઇવાડીમાં સભા ગજવશે. સાથે જ સંગઠનમાં પાટીદાર આગેવાનોને પણ આ બેઠક પર કામે લાગી જવાની સૂચના આપવામાં આવી છે.
આમ તો આ બેઠક શહેરી વિસ્તારની બેઠક છે અને તે ભાજપનો ગઢ છે. પરંતુ ચૂંટણી સમયે પ્રચાર કરવો જરૂરી હોય છે. આ બેઠક પર ઓપન કેટેગરીના મતદારો વધારે છે. તો નોનગુજરાતી મતદારોની સંખ્યા પણ વધારે છે. પરંતુ કડવા પાટીદાર કે, નોન ગુજરાતી ભાજપના નેતાઓએ જાણે કે અમરાઈવાડી બેઠક પર અંતર બનાવી રાખ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે આ બેઠક પર ઉમેદવારના નામની પસંદગી કરવામાં આવી છે. ત્યારથી ભાજપના એકપણ સ્થાનિક નેતાઓ અહીં ફરક્યા પણ નથી. પૂર્વ અને પશ્ચિમના સાંસદ આ બેઠકને લઈને પ્રચારમાં લાગેલા છે. એ સિવાય એક પણ નેતાઓ અહી પ્રચાર માટે આવ્યા નથી. પરંતુ હવે આંતરિક વિખવાદ એ જીત પર ભારે પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ભાજપે હવે આ બેઠક પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
જો કે આ તમામની વચ્ચે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ ‘સબ સલામત હૈ’ના દાવા સાથે સ્થાનિક નેતાઓનો બચાવ કરી રહ્યા છે. પરંતુ તેમના પ્રચારના રાઉન્ડ દરમિયાન ખ્યાલ આવી જાય છે કે, સબ સલામત હૈનો દાવોએ પોકળ છે. ત્યારે જોવાનું એ રહશે કે પ્રદેશ ભાજપ આ જૂથવાદને હવે કેવી રીતે ડામી શકશે. અને છેલ્લા દિવસોના નેતાઓના આ બેઠક પરના ધામાં ભાજપને જીતની કેટલી નજીક લઈ જશે.