ભારતમાં છે તરતી પોસ્ટ ઓફિસ, જાણો તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક પાણી પર તરતી પોસ્ટ ઓફિસ (floating post office) પણ છે.
આજે ટેકનોલોજીનો જમાનો છે. આજે બધા કામ ટેકનોલોજીના કારણે સરળ અને ઝડપી રીતે થઈ જાય છે. વર્ષો સુધી જે કામો માણસ વગર શક્ય ન હતા તે હવે ટેકનોલોજીના કારણે મશીનોથી થઈ જાય છે. હાલમાં કોઈને મેસેજ કરવો હોય તો એક સેકેન્ડમાં થઈ જાય છે. પણ વર્ષો પહેલા ભારત સહિતના દેશોમાં તાર અને પત્રો દ્વારા એકબીજા સાથે સંવાદ કરવામાં આવતો હતો. ભારતમાં પત્રનો ઈતિહાસ ઘણો જૂનો છે, તેને નેટવર્ક એટલુ મજબૂત હતુ કે લોકોને દૂર દૂર સુધી તેમના સગાવહાલાના પત્રો મળી જતા હતા. દુનિયાનું સૌથી મોટુ પત્ર વ્યવહારનું નેટવર્ક ભારતમાં જ છે. ભારતમાં આજે પણ પત્ર વ્યવહાર અસ્તિત્વમાં છે. ભારતીય પોસ્ટ સેવા 500 વર્ષ જૂનુ છે અને તેનું નેટવર્ક આજે પણ સૌથી મોટુ અને મજબૂત છે. ભારતમાં એવા પોસ્ટ ઓફિસ (post office) છે, જેની પોતાની એક વિશેષતા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક પાણી પર તરતી પોસ્ટ ઓફિસ ( floating post office) પણ છે. આ તરતી પોસ્ટ ઓફિસ આજે ભારતના એક પ્રવાસન સ્થળમાંથી એક છે. આ તરતી પોસ્ટ ઓફિસને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. ચાલો જાણીએ ભારતની આ અનોખી તરતી પોસ્ટ ઓફિસ વિશેની રોચક વાતો.
આ સ્થળે છે તરતી પોસ્ટ ઓફિસ
આ અનોખી તરતી પોસ્ટ ઓફિસ ભારતના સ્વર્ગ માનવામાં આવતા જમ્મૂ-કશ્મીરમાં છે. તે શ્રીનગરના પ્રખ્યાત પ્રવાસન સ્થળમાંથી એક છે. 9 વર્ષ પહેલા આ પોસ્ટ ઓફિસની હાલત ખુબ ખરાબ હતી, પણ ત્યાના પોસ્ટ માસ્ટર જનરલ સૈમ્યુઅલના પ્રયત્નોને કારણે આ પોસ્ટ ઓફિસની હાલત સુધરી હતી. આ સુંદર તરતી પોસ્ટ ઓફિસ દાલ તળાવમાં છે.
આ તરતી પોસ્ટ ઓફિસનું પહેલા આ નામ હતુ
આ તરતી પોસ્ટ ઓફિસમાં 2 રુમ છે, તેનું ઉદઘાટન તે સમયના રાજ્યના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ કર્યુ હતુ. આ પ્રખ્યાત તરતી પોસ્ટ ઓફિસનું નામ પહેલા નેહરુ પાર્ક પોસ્ટ ઓફિસ હતુ. કેટલાક રિપોર્ટ અનુસાર, નવા પોસ્ટ માસ્ટર જોન સેમુઅલે તેનુ નામ તરતી પોસ્ટ ઓફિસ રાખ્યુ હતુ.
આ સમયે આફતમાં હતી તરતી પોસ્ટ ઓફિસ
વર્ષ 2014માં આ સ્થળે ભયાનક પૂર આવ્યુ હતુ. તેના કારણે આ પોસ્ટ ઓફિસની હાલત ખરાબ થઈ હતી. પૂર વખતે તેને બહાર કાઢીને, સ્થિતિ સામાન્ય થતા તેની ફરી દાલ તળાવમાં લાવવામાં આવી હતી. આ તરતી પોસ્ટ ઓફિસમાં આજે પણ સામાન્ય પોસ્ટ ઓફિસની જેમ કામ કરે છે. તળાવને કારણે તેમા કામ કરવામાં કોઈ હેરાગતિ થતી નથી.