Pervez Musharraf death : આ યુદ્ધનું એક પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનમાં ફરી એકવાર લોકશાહી ખતમ થઈ ગઈ હતી. બાદમાં નવાઝ શરીફને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. કારગિલ યુદ્ધના માસ્ટર માઈન્ડ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર બન્યા, જેઓ પાછળથી આગ્રામાં એ જ અટલ બિહારી વાજપેયીને મળ્યા, જેમના કાર્યકાળ દરમિયાન કારગિલ યુદ્ધ થયું હતું.
આ પણ વાંચો : Pervez Musharraf Death : પરવેઝ મુશર્રફ એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા, જાણો શું છે આ બીમારી
પાકિસ્તાનના કોહ-એ-પાઈમા અથવા ઓપરેશન કારગિલનો મુખ્ય ઉદ્દેશ્ય કાશ્મીર અને લદ્દાખ વચ્ચેની કડીને તોડવાનો હતો. જ્યારે પાકિસ્તાની સેનાપતિઓએ આ માટે પાકિસ્તાનના લોકશાહી શાસકોને મૂર્ખ બનાવ્યા હતા, ત્યારે તેઓને એવી ગેરસમજ પણ હતી કે વિવાદ વધ્યા પછી આ મામલો આંતરરાષ્ટ્રીય મંચ પર જશે અને તેનાથી કાશ્મીરના આંતરરાષ્ટ્રીયકરણમાં પાકિસ્તાનને ફાયદો થશે.
રસપ્રદ વાત એ હતી કે તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફને આર્મી જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા આખી ઘટના વિશે અંતમાં જાણ કરવામાં આવી હતી અને તેમને એમ પણ કહ્યું હતું કે, તે ખરેખર ઓપરેશન કાશ્મીર ફતહ હતું. જો કે નવાઝ શરીફ વિશે લખવામાં આવ્યું છે કે, નવાઝ શરીફને ખરેખર સેનાના કારગિલ ઓપરેશનની જાણ ન હતી. તેઓ ભારત સાથે કોઈ વિવાદ ઊભો કરવા માંગતા ન હતા, પરંતુ સત્ય અલગ હતું. જ્યારે પરવેઝ મુશર્રફે આ ઓપરેશનનો હેતુ કાશ્મીર હોવાનું જણાવ્યું ત્યારે નવાઝ ખૂબ ખુશ થયા હતા.
વાસ્તવમાં પાકિસ્તાની જનરલોની યોજના મુજબ કાશ્મીર અને લદ્દાખને જોડતાં NH-1 પર ટક્કર કરીને કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનો સંપર્ક કાપી નાખવામાં આવશે, જેથી ભારતીય સેનાને સિયાચીનમાંથી પાછા હટવાની ફરજ પડશે પરંતુ સેનાપતિઓની આ ષડયંત્ર સફળ ન થઈ અને અંતે નવાઝ શરીફે પોતાની ઈજ્જત બચાવવા અમેરિકા ભાગી જવું પડ્યું. આ પછી પાકિસ્તાની સેનાએ ભારતીય વિસ્તારોમાંથી હટવાનું શરૂ કર્યું. આખરે 26 જુલાઈના રોજ ભારતને સંપૂર્ણ સફળતા મળી અને ભારતે તેના તમામ પ્રદેશો પોતાના કબ્જામાં કરી લીધા હતા.
ઓપરેશન ‘કોહ પાઈમા’ સંપૂર્ણપણે પાકિસ્તાની સેનાના તત્કાલિન પ્રમુખ પરવેઝ મુશર્રફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. જેની પાકિસ્તાનના ટોપ જનરલોને પણ જાણ નહોતી. નવાઝ શરીફ અને બીજા ઘણા જનરલોની સામે જ્યારે ઓપરેશનની યોજના આવી ત્યારે ઘણા જનરલોએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે લાંબા સમયથી ઓપરેશન કોહ પૈમાની માહિતી માત્ર પરવેઝ મુશર્રફ અને તેમના વિશેષ અધિકારીઓ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અઝીઝ ખાન, લેફ્ટનન્ટ જનરલ મહમૂદ અહેમદ અને મેજર જનરલ જાવેદ હસનને જ હતી.
પાકિસ્તાની સેના આ આયોજનમાં પણ નિષ્ફળ ગઈ. મુશર્રફ અને તેના ત્રણ સાથીઓની યોજના મુજબ ડિસેમ્બર 1998 સુધીમાં પાકિસ્તાની સૈનિકો ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા. જાન્યુઆરી 1999માં મુશર્રફે મિલિટરી ઓપરેશન્સ ડિરેક્ટોરેટની બેઠકમાં બાકીના સૈન્ય અધિકારીઓને ઓપરેશન કોહ પાઈમા વિશે માહિતી આપી હતી.
પાકિસ્તાન સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ માહિતીથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રસપ્રદ વાત એ હતી કે પાકિસ્તાનના તત્કાલીન ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન તૌકીર ઝિયાને પણ આ વાતની જાણ નહોતી. ખાસ વાત એ હતી કે તેણે તેમાં રસ પણ નહોતો લીધો, પરંતુ તે જાણતો હતો કે, આ આખો ખેલ મુશર્રફ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો.
ઓપરેશન કારગિલની માહિતી મે 1999માં પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને આપવામાં આવી હતી. લશ્કરી નેતૃત્વએ એક બેઠકમાં નવાઝ શરીફ અને તેમના સાથીદારોને ઓપરેશન કોહ પાઈમા વિશે માહિતી આપી હતી.
પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ 450 સૈનિક અધિકારીઓ, સૈનિકો અને આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. નવાઝ શરીફ જ્યારે સ્કર્દુની મિલિટરી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમણે આ યુદ્ધનો ભયાનક ચહેરો જોયો. ત્યાં ઘાયલ સૈનિકોને જોયા પછી ખબર પડી કે જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનની સેનાને નહીં પરંતુ આખા દેશને ફસાવી દીધો હતો.
Published On - 1:36 pm, Sun, 5 February 23