સ્ટાર્ટઅપ કંપનીએ કર્મચારીઓને આપી અનોખી ભેટ: કંપનીએ કર્મચારીઓને આપી 11 દિવસની રજા, કહ્યું – મજા કરો..!
મીશોના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર આશિષ કુમાર સિંઘે જણાવ્યું હતું કે સારા કંપની કલ્ચર બનાવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે કર્મચારીઓની સુખાકારી માટે વર્ક-લાઇફ બેલેન્સ, આરામ અને કાયાકલ્પ જરૂરી છે. આ અમે 'રીસેટ અને રિચાર્જ' સાથે કરી રહ્યા છીએ
સમયની સાથે લોકોની કામ કરવાની રીત બદલાતી રહે છે. ખાસ કરીને નવા યુગની કંપનીઓ ઓફિસના વાતાવરણ અને વર્ક કલ્ચરને બદલવામાં મોટો ફાળો આપી રહી છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહન તરીકે ભેટ અથવા કંપનીના શેર આપવાની પ્રથા એકદમ સામાન્ય બની ગઈ છે. હવે કંપનીઓએ આનાથી કંઈક અલગ કરવાનું શરૂ કર્યું છે. સ્ટાર્ટઅપ કંપની મીશો(Meesho)એ એક અનોખી જાહેરાત કરી છે. કંપનીએ ફેસ્ટિવલ સીઝન પછી તેના કર્મચારીઓને 11 દિવસનો બ્રેક આપી રહી છે જેથી કરીને તેઓ સારી રીતે જીવન જીવી શકે અને તણાવથી મુક્ત રહી શકે.
સતત બીજા વર્ષે બ્રેક મળી રહ્યો છે
ઓનલાઈન શોપિંગ સાઈટ ચલાવતી કંપની મીશોએ આ 11 દિવસના બ્રેકને ‘રીસેટ એન્ડ રિચાર્જ બ્રેક’ (Reset and Recharge Break)નામ આપ્યું છે. કંપનીએ ભૂતકાળમાં પણ આવું કર્યું છે અને આ સતત બીજું વર્ષ છે જ્યારે મીશોના કર્મચારીઓને બ્રેક મળી રહ્યો છે. આ વિરામ ફેસ્ટિવલ સીઝન પછી 22મી ઓક્ટોબરથી શરૂ થશે અને 01મી નવેમ્બર સુધી ચાલશે. કંપનીનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે અને તહેવારોની સીઝનના સેલ પીરિયડ પછી સંપૂર્ણ રીતે કામથી દૂર થઈને મીશોના કર્મચારીઓને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.
કંપનીના CEO એ કહી આ વાત
મીશોના સ્થાપક અને સીઈઓ વિદિત અત્રેએ ટ્વીટ કરી કહ્યું છે કે “અવકાશયાત્રીઓને પણ વિરામની જરૂર છે તેવી જ રીતે કંપનીના મૂનશોટ મિશન પર કામ કરતા લોકોને પણ વિરામની જરૂર છે. સતત બીજા વર્ષે મીશોના કર્મચારીઓ પોતાને 11 દિવસ માટે કામથી દૂર કરશે અને તહેવારોની સિઝન પછી પોતાને ફરીથી સેટ કરશે અને રિચાર્જ કરશે. કામ મહત્ત્વનું છે પણ સારારહેવાનું કોઈ મૂલ્ય નથી.
ઈચ્છા મુજબ રજાનો ઉપયોગ કરી શકાશે
મીશોના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર આશિષ કુમાર સિંઘે જણાવ્યું હતું કે સારા કંપની કલ્ચર બનાવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે કર્મચારીઓની સુખાકારી માટે વર્ક-લાઇફ બેલેન્સ, આરામ અને કાયાકલ્પ જરૂરી છે. આ અમે ‘રીસેટ અને રિચાર્જ’ સાથે કરી રહ્યા છીએ અને કાર્યસ્થળના પરંપરાગત ખ્યાલોને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બ્રેક દરમિયાન કર્મચારીઓ તેઓ જે પણ ઈચ્છે તે કરી શકે છે. જો તેઓ તેમની નજીકના લોકો સાથે સમય પસાર કરવા માંગતા હોય અથવા કોઈ નવું કૌશલ્ય શીખવા માંગતા હોય અથવા ક્યાંક મુસાફરી કરવા માંગતા હોય તે કરી શકશે.