રશિયાના યુક્રેન પર આક્રમણ (Russia Ukraine conflict) બાદ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે. સોશિયલ મીડિયા કંપનીઓ પણ આ યુદ્ધમાં સામેલ થઈ ગઈ છે. દરમિયાન સોશિયલ મીડિયા કંપની ટ્વીટરે કહ્યું છે કે રશિયામાં ટ્વીટરની ઍક્સેસ ઘણા લોકો માટે બ્લોક કરી દેવામાં આવી છે, જેના કારણે રશિયામાં ઘણા લોકો અત્યારે ટ્વીટરનો ઉપયોગ કરી શકતા નથી. ટ્વીટરે જણાવ્યું હતું કે કંપની તેના પ્લેટફોર્મ પર જાહેર સુરક્ષાની માહિતીને પ્રાથમિકતા આપે તે સુનિશ્ચિત કરવા માટે રશિયા અને યુક્રેનમાં અસ્થાયી રૂપે જાહેરાતોને અવરોધિત કરી રહી છે.
સોશિયલ વેબસાઈટ ફેસબુકે તાજેતરમાં યુક્રેન પર રશિયાના સૈન્ય ક્રેકડાઉનને પગલે ક્રેમલિન સમર્થિત મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે રશિયાએ બદલો લેવાનો અને ફેસબુક પર આંશિક પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિબંધ શુક્રવારે તરત જ અમલમાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રશિયન મીડિયાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્વીટરે કહ્યું છે કે તે તેની સેવાને સુરક્ષિત અને સુલભ રાખવા પર કામ કરી રહ્યું છે. જોકે, ટ્વીટરે આ અંગે માહિતી આપી નથી કે રશિયાએ તેની સાથે કોઈ કાર્યવાહી અંગે વાત કરી છે કે નહીં. ઈન્ટરનેટ બ્લોકેજ ઓબ્ઝર્વેટરી નેટબ્લોક્સના રિપોર્ટ અનુસાર ટ્વીટરને મોટા નેટવર્ક પર બ્લોક કરી દેવામાં આવ્યું છે. શનિવારે અન્ય રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વીટરની સ્પીડ ઓછી થઈ ગઈ છે અને ટ્વીટ મોકલવામાં સમસ્યા આવી રહી છે. રશિયા પર મોટી ટેક કંપનીઓ અને ઈન્ટરનેટને નિયંત્રિત કરવાનો આરોપ છે. ગયા વર્ષે પણ રશિયાએ દેશમાં ટ્વીટરની સ્પીડ ધીમી કરી દીધી હતી. રશિયાએ કહ્યું કે પ્લેટફોર્મ પરથી ગેરકાયદે કન્ટેન્ટ હટાવવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
યુક્રેન પર રશિયાના હુમલામાં 198 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રીએ આ દાવો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લાયશ્કોએ શનિવારે કહ્યું કે મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જો કે, તેમના નિવેદનથી એ સ્પષ્ટ થયું નથી કે મૃતકોમાં જવાન અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે કે કેમ.
ગુરુવારે, યુક્રેનમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ તરફથી પ્રચંડ હવાઈ અને મિસાઈલ હુમલામાં 33 બાળકો સહિત 1115 લોકો ઘાયલ થયા હતા, રશિયાની સેનાએ કહ્યું છે કે તેણે ક્રૂઝ મિસાઇલોથી યુક્રેનના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે શનિવારે જણાવ્યું હતું કે સેનાએ લાંબા અંતરની કાલિબ્ર ક્રુઝ મિસાઇલો વડે યુક્રેનના અનેક સૈન્ય સ્થાપનો પર હુમલો કર્યો હતો.
આ પણ વાંંચો – Russia Ukraine War: રશિયાએ યુક્રેનના ખારકિવ શહેરમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી, યુદ્ધ વચ્ચે મોટી આફત સર્જાવવાની ભીતિ
આ પણ વાંચો – Russia Ukraine War: ટ્રમ્પના બાઈડેન અને ઓબામા પર આકરા શાબ્દિક પ્રહારો, કહ્યું- ‘હું ત્યાં હોત તો યુદ્ધ ન થયું હોત’