Sri Lanka Crisis Latest Updates: શ્રીલંકામાં તમામ કેબિનેટ મંત્રીઓના રાજીનામા, સર્વપક્ષીય સરકાર બનાવવા પર મંથન
Sri Lanka Economic Crisis: શ્રીલંકાની કમ્યુનિસ્ટ પાર્ટીના ઉપાધ્યક્ષ વીરસુમના વીરસિંઘેએ કહ્યું કે સર્વપક્ષીય સરકાર વિશે લાંબી ચર્ચા થશે.
શ્રીલંકા (Sri Lanka) માં ચાલી રહેલા ઘેરા રાજકીય સંકટ વચ્ચે સર્વપક્ષીય સરકાર રચવા અંગે સર્વસંમતિ સાધવા માટે રવિવારે એક વિશેષ બેઠક યોજાય શકે છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) ના રાજીનામાની માંગ સાથે શનિવારે મધ્ય કોલંબોના ફોર્ટ વિસ્તારમાં પ્રદર્શનકર્તાઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમણે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe)ના ઘરને પણ આગ લગાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાનિલ વિક્રમસિંઘે અને રાજપક્ષેએ રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી.
એક અહેવાલ મુજબ, મુખ્ય વિપક્ષ સામગી જન બાલવેગયા (SJB) અને તેના સહયોગીદળોની બેઠકમાં વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા, શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસના નેતા રઉફ હકીમ, તમિલ પ્રોગ્રેસિવ એલાયન્સના નેતા મનો ગણેશન અને ઓલ સિલોન મક્કલ કોંગ્રેસના નેતા રિશાદ બઠિઉદ્દીન સામેલ થશે. વર્તમાન રાજનીતિક સ્થિતિ પર ચર્ચા માટે રવિવારે નેશનલ ફ્રીડમ ફ્રંટ સહિત 9 દળોના નેતાઓની એક બેઠક મળશે. જેમા શ્રીલંકાની કમ્યુનિસ્ટ પાર્ટીના ઉપાધ્યક્ષ વીરાસુમના વીરસિંઘેના જણાવ્યા મુજબ સર્વપક્ષીય સરકાર રચવા અંગે લાંબી ચર્ચા થશે.
શ્રીલંકામાં સેના નહીં મોકલે ભારત
આ દરમિયાન, શ્રીલંકામાં સેના મોકલવાની ખબરોનું ખંડન કરતા ભારતે તેને એક માત્ર અફવા ગણાવી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક અને રાજકીય સંકટને જોતા ભારત શ્રીલંકામાં સેના મોકલશે. જો કે, ભારતીય હાઈ કમિશને આ અહેવાલોને ફગાવી દીધા છે.
13 જૂલાઈ પહેલા રાજીનામુ આપશે રાષ્ટ્રપતિ રાજપક્ષે
આ તરફ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ સત્તાવાર રીતે પીએમ વિક્રમસિંઘેને જાણ કરી છે કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. જેમા તેમણે 13 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી. જો કે હવે તેઓ તેમના નક્કી કરેલા સમય પહેલા રાજીનામું આપવા જઈ રહ્યા છે. આ અગાઉ, વિક્રમસિંઘે શનિવારે કહ્યું હતું કે તેઓ રાજીનામુ આપવા તૈયાર છે. જેથી દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ શકે. વડાપ્રધાનના મીડિયા વિભાગે જણાવ્યુ હતું કે સર્વપક્ષીય સરકાર રચાયા પછી અને સંસદમાં બહુમતી સાબિત થયા પછી તેઓ વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યુ કે સર્વપક્ષીય સરકારના બહુમત પરીક્ષણ સુધી તેઓ PM પદ પર બની રહેશે
પ્રદર્શનકર્તાઓએ કરી પ્રોક્સી કેબિનેટ બેઠક
ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકર્તાઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસ પર પ્રોક્સી કેબિનેટની બેઠક યોજી હતી અને તેમના નેતૃત્વ હેઠળની સરકારની મજાક ઉડાવવા માટે ‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ (IMF) સાથે ચર્ચા કરી હતી. શનિવારે પ્રદર્શનકર્તાઓના કબજા બાદ જનતા રાષ્ટ્રપતિ સચિવાલય, રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ટેમ્પલ ટ્રી પર પહોંચી હતી. આ દરમિયાન વિરોધકર્તાઓએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી રાજપક્ષે રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ બધા ગૃહમાં જ રહેશે. પ્રોક્સી કેબિનેટની બેઠકમાં વિરોધકર્તાઓએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ઘર પર લગાવવામાં આવેલી આગની ઘટના પર પણ ચર્ચા કરી હતી.