પાકિસ્તાનના મૌલાનાએ નૂપુર શર્માનુ કર્યુ સમર્થન, કહ્યું- પ્રોફેટ પર નિવેદન માટે મુસ્લિમે ઉશ્કેર્યા
પાકિસ્તાનના ચર્ચાસ્પદ મૌલાના એન્જિનિયર મોહમ્મદ અલીએ પયગંબર વિવાદમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નૂપુર શર્માનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. મૌલાના અલીએ કહ્યું કે મુસ્લિમ પેનલિસ્ટે પહેલા નૂપુર શર્માને ઉશ્કેર્યા હતા, જેના જવાબમાં નૂપુર શર્માએ પ્રોફેટ પર વિવાદીત નિવેદન આપ્યું હતું.
ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ (Prophet Mohammad) વિશે આપેલા નિવેદન પર ભારતથી લઈને મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. સમગ્ર મામલામાં નૂપુર શર્માને દોષી ઠેરવવામાં આવી રહી છે, જ્યારે મુસ્લિમ પેનલના સભ્ય તસ્લીમ અહેમદ રહેમાની ચર્ચામાં સામેલ હોવા છતા તેમની કોઈ ચર્ચા નથી કરાતી. આ દરમિયાન પાકિસ્તાનના ચર્ચાસ્પદ મૌલાના એન્જિનિયર મોહમ્મદ અલીએ (Maulana Engineer Mohammad Ali) નૂપુર શર્માનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. મૌલાના અલીએ કહ્યું કે મુસ્લિમ પેનલિસ્ટે પહેલા નૂપુર શર્માને (Nupur Sharma) ઉશ્કેર્યા અને તેના જવાબમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતાએ પ્રોફેટ વિશે ટિપ્પણી કરી હતી.
પાકિસ્તાનના મૌલાનાએ કહ્યું કે પહેલો ગુનેગાર મુસ્લિમ છે જેણે લાઈવ ટીવીમાં કોઈના ધર્મ વિશે વાત કરી છે. મૌલાના અલીએ કહ્યું કે આ સમગ્ર વિવાદમાં આપણે સમગ્ર ઘટનાક્રમ જોવો પડશે. તેમણે કહ્યું કે નૂપુર શર્માના નિવેદનની સ્ટાઈલ પરથી ખબર પડશે કે તે પ્રત્યુતર આપી રહી છે. નૂપુર શર્માએ કહ્યું કે જો તમે આવી વાત કરો છો તો અમે પણ આવું કહીશું. મૌલાનાએ કહ્યું કે પહેલો ગુનેગાર તો એ મુસ્લિમ છે જેણે લાઈવ ટીવી પ્રોગ્રામમાં કોઈના ધર્મ વિશે વાત કરી.
કુરાન મુજબ કોઈપણ ધર્મની મજાક ઉડાવવી યોગ્ય નથીઃ મૌલાના
મૌલાના એન્જીનિયર મોહમ્મદ અલીએ કહ્યું કે કુરાન મુજબ તમે કોઈના ધર્મની મજાક કરી શકતા નથી. પછી ભલે તે તમારો ધર્મ વિરોધી કેમ ના હોય. પાકિસ્તાની મૌલાનાએ કહ્યું કે અન્ય ધર્મના લોકો સાથે દલીલ કરતી વખતે આપણે ભાષાનું ધ્યાન રાખવું જોઈએ અને અલ્લાહે આપણને આ જ સંદેશ આપ્યો છે. મૌલાના અલીએ કહ્યું કે નૂપુર વિવાદમાં આરબ દેશોના લોકો ACમાં બેસીને વાતાવરણને ભડકાવી રહ્યા છે જ્યારે ભારતમાં લોકો આકરી ગરમીમાં વિરોધ કરી રહ્યા છે અને પોલીસકર્મીઓ તેમને જવાબ આપી રહ્યા છે.
પાકિસ્તાનના મૌલાનાએ કહ્યું કે આ મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણ છે. ઈમરાન ખાન કહેતા હતા કે ભારત અમેરિકા પાસેથી પણ વસ્તુઓ લઈ રહ્યું છે અને રશિયા પાસેથી પણ. હવે ભારત અને ઈમરાન ખાન બન્ને જાણી ગયા હશે કે અમેરિકા જેને ઈચ્છે તેને તેમની સામે નમાવી શકે છે. તેમણે કહ્યું કે આરબ દેશો એમના ગુલામ છે જેમને રશિયા સાથે નથી બનતું. આ દેશોએ આરબ દેશોને ભારતની વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. આ પહેલા પણ ઘણા મોટા મામલા સામે આવ્યા છે જેના પર આરબ દેશોએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. હવે આરબ દેશોને રશિયાને લઈને ભારત પર દબાણ લાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
મૌલાના પર બે વખત થયો હતો હુમલો
પાકિસ્તાનમાં મૌલાના અલી મિર્ઝાને એન્જિનિયર મુહમ્મદ અલી મિર્ઝા તરીકે ઓળખવામાં આવે છે. જેઓ ઇસ્લામિક બાબતોના નિષ્ણાત છે અને ઘણીવાર વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા આવ્યા છે. મૌલાના અલીનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. તેઓ પોતાની રિસર્ચ એકેડમી પણ ચલાવે છે. પાકિસ્તાની અભિનેતા હમઝા અલી અબ્બાસી અને એન્કર શફાત અલી તેમના સમર્થક છે. પાકિસ્તાન સરકારે વર્ષ 2020માં તેની ધરપકડ કરી હતી. મૌલાના અલી ઉપર પણ બે વખત હુમલા થયા છે.